
Tag Archives: story
(202) એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી!

Posted by Valibhai Musa on June 27, 2010 in gujarati, Human behavior, Humor
Tags: Bamboo, Folktale, History, life, Parable, story, Walking
(197) ભાવપ્રતિભાવ – 3 (શ્રી સુરેશ જાની) * ઈશ્વરનો જન્મ
સ્નેહીશ્રી સુરેશભાઈ,
તમે ‘ઈશ્વરનો જન્મ’ વાર્તાનો English Version નો લિંક આપેલો, પણ સરસ મજાનો તેનો તમારો જ અનુવાદ પ્રાપ્ય હોઈ અહીં ગુજરાતીમાં જ મારો પ્રતિભાવ આપવા લલચાયો છું કે જેથી બહોળો વાંચકવર્ગ તેનો લાભ લઈ શકે.
સાહિત્યસર્જક પોતાની રચનાનો જન્મ આપીને માતા બનવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેની ફોઈ બનીને નામાભિધાન પણ પોતે જ કરી લેતો હોય છે. આ એક સાહિત્યકૃતિ હોઈ તેના સર્જક તરીકે તમે આઝાદ હોઈ ‘રાજાને ગમે તે રાણી’ની જેમ તમે મનપસંદ ગમે તે શીર્ષક આપી શકો અને વાંચકોએ તેમાં ચંચુપાત કરવાનો હોય નહિ! આમ છતાંય તટસ્થભાવે હું મારો વિવેચનધર્મ નિભાવતાં કૃતિના શીર્ષક સંદર્ભે શરૂઆતમાં કંઈક કહેવા માગું છું. Read the rest of this entry »
Posted by Valibhai Musa on June 9, 2010 in Civilization, gujarati, Human behavior
(191) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૨ (રોહિણી)
Click here to read Gujarati story with Preamble in English
મારી વાર્તા ‘રોહિણી’ કે જે ગુજરાતી મેગેઝિન ‘ચાંદની’માં પ્રસિદ્ધ થઈ હતી, તેને અહીં રજૂ કરવામાં આવે છે. વાર્તા એક સુખી પરિવાર સાથે સંબંધિત છે. કેટલીકવાર કોઈક સામાન્ય મુદ્દાઓ કુટુંબની સંવાદિતાને ખલેલ પહોંચાડતા હોય છે. કોઈ એક પક્ષે આવા મુદ્દાઓનું સમાધાન કરવાની પહેલ થતી ન હોવાના કારણે ધીમેધીમે જે તે મુદ્દો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનતો જાય છે અને લગ્નજીવન ભંગાણના આરે પહોંચી જતું હોય છે. માનવ સ્વભાવને સમજવો કંઈક અંશે મુશ્કેલ છે. પુરુષ અને સ્ત્રી છેવટે તો માનવીઓ છે, પણ તેમના મિજાજ અને સ્વભાવમાં કેટલીક વિશિષ્ટ ખાસિયતો હોય છે. ઘણું કરીને પુરુષ આક્રમક જણાયો છે, જ્યારે સ્ત્રી સ્વરક્ષણાત્મક માલુમ પડી છે; પુરુષ અંતિમવાદી હોય છે, જ્યારે સ્ત્રી સંવેદનશીલ બાબતોમાં સમધારણ મનોવૃત્તિ ધરાવતી હોય છે. કુટુંબજીવનમાં પતિપત્નીએ પરસ્પરના સન્માનને જાળવવાનાં હોય છે અને તે માટે તેમણે સમજદારી અને સભાનતા કેળવવાં જ રહ્યાં.
મારા સ્ત્રી અને પુરુષ વિષેના ઉપર દર્શાવાએલા વિચારો મારા પોતાના છે અને અન્યોને જરાયે બંધનકર્તા નથી, કેમ કે એ સઘળા સર્વસામાન્ય વિચારો માત્ર જ છે. કોઈ વિશિષ્ટ કિસ્સાઓમાં પુરુષ અને સ્ત્રીના મિજાજ અને સ્વભાવ ઉપર દર્શાવ્યા કરતાં વિપરિત પણ હોઈ શકે. એ ગમે તે હોય, પણ આપણે અહીં તે બાબત સાથે કોઈ લેવદેવા નથી. આ એક મારી વાર્તાની પ્રસ્તાવના માત્ર છે અને વાર્તાના અંતે મારા વાંચકમિત્રો જાણી શકશે કે કેવી રીતે સ્ત્રી એટલે કે રોહિણી પોતાના સ્વરક્ષણાત્મક અને સમધારણ વર્તન કે સમજદારી વડે પોતાના કુટુંબજીવનને ભાંગી પડતું કે દુ:ખી થતું અટકાવી દે છે.
મારા વાંચકોને વિનંતી કે તેઓ આગળ વાર્તા વાંચે અને મારા અગાઉના આર્ટિકલ “છૂટાછેડા -કાયદેસર, પણ અનિચ્છનીય” સાથે સંકલન કરવાનો પ્રયત્ન કરે.
આપનો સહૃદયી,
– વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
રોહિણી
હું ઑફિસે જવા માટેનાં કપડાં પહેરી રહ્યો હતો. મહેન્દ્ર અને અશોક પણ તેમના નિશાળના યુનિફૉર્મમાં ખભે પુસ્તકોના થેલા સાથે તૈયાર હતા. તેઓ મારી જ તૈયાર થવાની રાહ જોઈ રહ્યા હતા, કેમ કે અમે હંમેશાં એક જ બસમાં જતા. વચ્ચે તેમની નિશાળ આવતાં તેઓ ઊતરી પડતા, જ્યારે હું આગળ વધતો.
થોડીવારમાં રોહિણી અંદરના ખંડમાંથી આવી અને આવતાંવેંત હંમેશની ટેવ મુજબ તેણે બંનેના ગાલો ઉપર ચુંબન જડી દીધાં. સામાન્ય રીતે તેના રોજિંદા આ કાર્યક્રમટાણે કાં તો હું મોજાં પહેરતો હોઉં યા બૂટની દોરી બાંધતો હોઉં, કે પછી બુશશર્ટનાં બટન બીડતો હોઉં. હું ચહેરા ઉપર સ્મિત સાથે તેના તરફ જોઈ લેતો, તો વળી તે પણ તીરછી નજરે મારા સામે જોઈને હસી પડતી. આમ અમારાં સ્મિતમાંથી પેલાં ચુંબનોનો જ આનંદ ઉદભવતો.
જો કે આજે તો મેં ઊંચે નજર કર્યા સિવાય જ મોજાં પહેરવાનું ચાલુ રાખ્યું. મારા કાનોએ વારાફરતી થયેલાં બંને ચુંબનોના બુચકારા સાંભળ્યા પણ ખરા, પરંતુ આજે અમારી વચ્ચે સાવ પારદર્શક કહી શકાય તેવી અને કાગળથી પણ પાતળી એવી એક દિવાલ આવી ગઈ હતી. ગઈ રાતે તેણે મારા આગળ એક સામાન્ય માગણી મુકેલી અને મેં તેનો પ્રેમપૂર્વક ઈન્કાર કરી દીધો હતો.
આજ પહેલાં મારા કોઈ વાતના ઈન્કારટાણે મને અનુકૂળ થઈ જનારી એ જ રોહિણીએ પોતાની માગણીને ભારપૂર્વક દોહરાવી હતી. તો વળી મેં પણ તેટલા જ ભારપૂર્વક મારા ઈન્કારને પણ દોહરાવ્યો હતો. તેની માગણી હતી, તેના પિયરના ગામે પાડોશીના ત્યાં લગ્નપ્રસંગે મહાલવા જવાની !
મારા મતે પાડોશીના સંબંધોનું કોઈ મહત્ત્વ મને ન દેખાયું. જો કે ગામડાંઓમાં પાડોશીના સંબંધો સગા ભાઈ કરતાં પણ અધિક ગણાતા હોય છે. હું પણ ગામડાનો જ વતની હતો, પણ અભ્યાસ અને નોકરી અર્થે શહેરોમાં જ ફર્યો હોઈ ગામડાંના એ પાડોશીઓની લાગણીનો મને ખાસ અનુભવ થયો પણ ન હતો. એટલે જ તો મેં રોહિણીની માગણીને વજૂદ વિનાની ગણીને તેની બેચાર દિવસની પણ ગેરહાજરી અમારા માટે કેટલી બધી પ્રતિકૂળતાઓ સર્જી દેશે તેની એક મોટી યાદી રજૂ કરી દીધી હતી. ત્યારે તો તેણે જો કે ‘ભલે’ કહીને મારી વાતને આવકારી પણ હતી, પણ તેના ચહેરા ઉપર મારા ઈન્કારથી અંકાયેલા ગમગીનીના ભાવ સ્પષ્ટ વંચાતા હતા.
મેં બંને દીકરાઓને બસસ્ટૉપ તરફ રવાના થવાનું સૂચન કરીને રોહિણીને એકાંત આપ્યું કે જેથી તેને જે કહેવાનું હોય તે કહી શકે. આ અનુકૂળતા આપવાનું પ્રયોજન એ ન હતું કે મારે મારો નિર્ણય ફેરવવાનો હતો. ગઈ રાતની મારી ના છતાં તેણે એની એ જ વાતને પકડી રાખી હોય તેવા અનુમાનના કારણે મારા જિદ્દી માનસને તે રુચ્યું ન હતું. એટલે તો મેં ઇચ્છ્યું કે એ ત્રીજીવાર એ જ વાત મૂકે તો મારે એ જ નન્નો સંભળાવવો, પણ આ વખતે થોડા ગુસ્સા સાથે ! વળી કદાચ શાંત સ્વભાવની એવી રોહિણી ગુસ્સામાં ભભૂકી ઊઠે તો મારે કદાચ તેનાથી પણ વધારે ઊંચા અવાજે બોલી નાખવું પડે અથવા બોલી જવાય તો છોકરાઓની હાજરી ઠીક નહિ રહે, તેમ માનીને જ મેં તેમને વહેલા વિદાય કરી દીધા હતા.
બંને દીકરાઓ માઢના દરવાજા બહાર નીકળી ગયા જાણીને હું કંઈક કહેવા જતો હતો, પણ મેં માંડી વાળ્યું; કેમ કે મારે શરૂઆત કરવાની ન હતી. બસસ્ટૉપ ઉપર પહોંચવાની એક મિનિટને બાદ કરતાં અને રોહિણીની ચૂપકીદીમાં એક મિનિટ પસાર થઈ ગયા પછી હવે ત્રણ જ મિનિટ બાકી રહી ગઈ હતી, પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે તે કંઈ જ ન બોલી. છેવટે હું જ બોલ્યો, ‘રોહિણી, આજે પટાવાળા સાથે ‘કોરા કાગઝ’ની બે ટિકિટો મંગાવી લઉં છું. યાદ છે તને કે આ અગાઉ આપણે આ ચલચિત્ર જોવાનું ચૂકી ગયેલાં ? જો કે ત્યારપછી હું ઑફિસકામે અમદાવાદ ગયો હતો, ત્યારે મેં તો જોઈ જ લીધું હતું. મને એ ખૂબ ગમેલું અને ત્યારે જ નક્કી કરેલું કે આ તો તને બતાવીશ જ. બે દિવસ પૂરતું જ ‘ઑસ્લો’માં લાગ્યું છે, તો ઘરકામથી વહેલી પરવારી જજે.’
આમ વાતને ફેરવી તોળીને હું ઝડપભેર ‘અચ્છા તો બાય’ કહીને ઘર બહાર નીકળી ગયો, પણ રોજની જેમ જમણા હાથની આંગળીઓ હલાવતાં રોહિણી તરફથી મને પ્રત્યુત્તરરૂપે ‘બાય’ શબ્દ સાંભળવા ન મળ્યો. મને મારું સ્વમાન હણાતું લાગ્યું. દસેક ડગળાં આગળ વધ્યા પછી ઇચ્છા થઈ આવી કે પાછો ફરીને તેના ગાલ ઉપર ચણચણતો તમાચો જડીને જ જાઉં, કદાચ જીવનમાં પહેલી વાર; પણ મેં સ્વસ્થતા ધારણ કરી લીધી.
ઑફિસે ગયા પછી હું મારા કામમાં ચિત્ત ન પરોવી શક્યો. બસમાંથી ઊતરતી વેળાએ છોકરાઓએ ‘બાય…બાય, ડેડી’ કહીને બંને જણાએ ‘બાય’ શબ્દ ચાર વાર સંભળાવ્યો હોવા છતાં રોહિણીના મુખે એક જ વખતના ‘બાય’ શબ્દની ખોટ વળી શકી ન હતી.
કૉલબેલ વગાડીને મેં પટાવાળાને બોલાવ્યો, પાણી મંગાવ્યું અને પછી મેં તેને ‘કોરા કાગઝ’ની બે ટિકિટો લાવી દેવા માટે દસ રૂપિયાની નોટ આપી. વળી પાછો રોહિણી પરત્વેનો સદભાવ મારા મનમાં જાગૃત થવા માંડ્યો. પાડોશી વિનાનું માઢનું સાવ એકાકી ઘર યાદ આવી ગયું.
અહીંનાં સાત વર્ષમાં કદાચ સાતસો વાર સારા પાડોશવાળું નવું ઘર મેળવી લેવાની રોહિણીની વિનંતિઓ યાદ આવી ગઈ. મને લાગ્યું કે જો કદાચ રોહિણીની માગણી પ્રમાણેનું ઘર મેળવી શકાયું હોત, તો પાડોશીની લાગણીના મહત્ત્વની મને પિછાન થઈ શકી હોત; અને તો કદાચ રોહિણીના પિયરના પાડોશી ચીમનકાકા પ્રત્યેની લાગણીને હું સમજી શક્યો હોત અને તેને આજે મેં પિયર જવાની અનુમતિ આપી દીધી હોત. આમ વાતનું વતેસર થતું અટકી ગયું હોત.
જો કે વાતનું વતેસર તો મારા પક્ષે જ થયું હતું. મેં જ એક સામાન્ય પ્રશ્નને ગંભીર બનાવી દીધો હતો. રોહિણી બિચારીએ તો મૌન જ સેવ્યું હતું. મેં પણ બાહ્ય રીતે મૌન સેવ્યું હોવા છતાં મારા અંતરમાં કેટલો બધો કોલાહલ વ્યાપી ગયો હતો ! મારી આ આંતરિક અસ્વસ્થતા માટે જવાબદાર બન્યો હતો, પેલો ‘બાય’ શબ્દનો રોહિણીમુખે અભાવ.
* * * * *
સાંજે હું ઑફિસેથી પાછો ફર્યો, ત્યારે ઘર બંધ હતું. મને ધ્રાસકો પડ્યો કે કદાચ રોહિણી ઉપરવટ થઈને તો નહિ જતી રહી હોય ! પરંતુ આમ માની લેવું મને ઉતાવળ કરવા જેવું લાગ્યું, કેમ કે તે બજારમાં કંઈક ખરીદી કરવા પણ ગઈ હોય. મારા પાસેની ડુપ્લીકેટ ચાવીથી બારણું ખોલીને અંદર પ્રવેશું છું, તો સામે જ ટેબલ ઉપર પેપરવેઈટ નીચે મારા લેટરપેડનું લખાણવાળું પાનું પડેલું દેખાયું.
મારી શંકા સાચી પડતી લાગી. મેં બહાવરા બનીને ચિઠ્ઠી વાંચવા માંડ્યું, જેમાં લખ્યું હતું :
“વહાલા સુધીર,
આ ચિઠ્ઠી પૂરી ન વંચાઈ રહે ત્યાંસુધી મારા વિષે કોઈ ગેરસમજ બાંધવા અધીર ન થઈ જતા. ગઈકાલે સાંજે પિયરથી આવેલો પત્ર મળ્યો, ત્યારથી આજે તમે ઑફિસે જવા ઉપડ્યા ત્યાંસુધી હું મારી ચીમનકાકાના ઘર સાથેની કુટુંબ જેવા સંબંધોની લાગણીને વાચા આપી શકી ન હતી; કેમ કે મને તમારા હૃદયની લાગણી સાચવવી વિશેષ મહત્ત્વની લાગી હતી. તમે એકવાર ‘ના’ કહ્યા પછી ‘હા’ કહેવાને ટેવાયેલા નથી તેની મને ખાતરી હોવાના કારણે જ તો મેં વ્યર્થ પ્રયત્નો કરવાનું માંડી વાળ્યું હતું.
પરંતુ તમારા ગયા પછી મને એમ જ લાગ્યા કર્યું કે છોકરાઓને બસસ્ટૉપ તરફ વહેલા રવાના કરીને જાણે કે તમે મને ફરીવાર માગણી મૂકવાની તક આપી હતી, પણ મારા સ્વાભિમાને મને એ તક ઝડપવા ન દીધી. પછી તો તમે મને જે પેલા હેમ્લેટની વાત કહી સંભળાવી હતી, તેના જેવું જ મારે થયું, ‘જાઉં કે ન જાઉં’ના મનોમંથન પછી ‘જાઉં જ’ એવા છેવટના નિર્ણય પર આવી અને હું જાઉં છું, ગઈ છું.
મારા જવાના આખરી નિર્ણય વખતે ઘડિયાળમાં અઢી વાગી ચૂક્યા હોઈ તમારી ઑફિસ આગળથી રિક્ષામાં પસાર થઈને તમારી રજા મેળવી લેવાનું શક્ય લાગતું નથી. આમ તમારી રજા મળી જવાની અપેક્ષાએ અથવા રજા મળી જ ગઈ છે તેમ માનીને આ ચિઠ્ઠી લખીને જાઉં છું.
બે જ દિવસમાં પાછી ફરીશ. બાર વર્ષના આપણા દાંપત્યજીવન દરમિયાન હું પહેલી જ વાર સભાનપણે ઉપરવટ થઈને વર્તું છું, તે બદલ ક્ષમા આપશો. સ્ટેશને પહોંચ્યા પછી જો સમય રહેશે તો પબ્લિક કૉલઑફિસેથી તમારો સંપર્ક સાધીશ, નહિ તો પછી બાય…બાય !
તમારી જ
રોહિણી”
ચિઠ્ઠી પૂરી થઈ, ત્યારે તો મારો ક્રોધ ચરમ સીમાએ પહોંચી ગયો હતો. મારા સ્વામીત્વભાવે રોહિણી પ્રત્યેની લાગણીને જાણે કે મસળી નાખી અને લગભગ અભાનપણે મારી ચપટીમાં ‘કોરા કાગઝ’ની ટિકિટો પણ
ફાટીને મસળાઈ ગઈ. હું ભણતો હતો ત્યારની મારા સંસ્કૃત શિક્ષકની એક વાત યાદ આવી ગઈ, “છોકરાઓ, તમે ગૃહકાર્ય લાવતા નથી, ત્યારે મને શિક્ષા કરવાના બદલે માફ કરી દેવાની ઇચ્છા થઈ આવે છે; પણ પછી ડર લાગે છે કે ‘ડોશી મરી જાય તેનો વાંધો નહિ, પણ જમ પેંધી જાય તો !’”
મને એમ જ લાગ્યું કે બાર વર્ષના દાંપત્યજીવનમાં ભલે રોહિણીએ પ્રથમવાર જ મારી આજ્ઞાનો અનાદર કર્યો હોય, પણ તેને માફ તો ન જ કરી શકાય. વળી તેની કબૂલાત છે, આ ચિઠ્ઠીમાં કે ‘મારા સ્વાભિમાને જ એ તક ન ઝડપવા દીધી.’. આમ તેનામાં સ્વાભિમાન તો છે જ અને આ સ્વાભિમાન દિનપ્રતિદિન પાંગરતું જાય તો પણ નવાઈ નહિ. ત્યારપછી તો કદાચ અમારું સંવાદી જીવન વિસંવાદિતામાં પરિણમે, આવા સંઘર્ષો રોજની ઘટનાઓ પણ બની જાય !
છેવટે મેં નક્કી કરી જ લીધું કે ‘રોહિણીને આની શિક્ષા થવી જ ઘટે.’
મેં ટેબલના ખાનામાંથી લેટરપેડ કાઢીને લખી નાખ્યું :
“રોહિણી,
મારી આજ્ઞાનું તારું ઉલ્લંઘન મને અસહ્ય થઈ પડ્યું છે. તારા અનાદરને હું હરગિજ ચલાવી લઈ શકું તેમ નથી. આમેય તું પિયર ગઈ છે, તો ભલે ગઈ. હવે તારે ત્યાં જ રહેવનું છે – અનિશ્ચિત સમય માટે, સમજી ? મને ઠીક લાગશે ત્યારે અને માત્ર ત્યારે જ હું તને લેવા આવીશ. તારી મેળે આવવાની કોશિશ કરીશ નહિ. હાલ પૂરતાં મારા ઘરનાં દ્વાર તારા માટે બંધ છે.
લિ. સુધીર નહિ, પણ અધીર”
પરબીડિયામાં પત્ર બીડીને હું ચોક આગળના પોસ્ટના ડબ્બામાં નાખી આવ્યો. મારું માથું ગરમ થઈ ગયું હતું. છોકરાઓને આવવાને હજુ થોડી વાર હતી. હું રસોડામાં ગયો. નાસ્તા માટેના ડબ્બાઓ ફેંદી વળ્યો. બધા જ ડબ્બા છાપાના કાગળમાં ઠાલવ્યા, જેમાં તીખીમીઠી પૂરીઓ હતી, સક્કરપારા હતા. રોહિણીના હાથનું સઘળું રાંધેલું હું બહાર ફેંકી દેવા માગતો હતો. અથાણાની બરણી પણ હાથમાં લીધી. તે પણ ફેંકી દેવા તૈયાર થયો, પણ માંડી વાળવું પડ્યું; કેમ કે એટલામાં તો બંને છોકરા આવી ગયા હતા.
નાના અશોકે રસોડામાં ધસી આવતાં પૂછી નાખ્યું, ‘પણ મમ્મી કેમ દેખાતી નથી અને પપ્પા છાપામાં નાસ્તો કેમ કાઢ્યો છે ?’
મેં જવાબ વાળ્યો, ‘કૂતરાએ બગાડ્યો છે !’ ‘કૂતરા’ શબ્દોચ્ચારથી હું પોતે જ થોડો ચમકયો, જાણે કે મેં મારી જાતને જ આ સંબોધન ન કર્યું હોય !
મહેન્દ્રે પણ વળી એ જ પ્રશ્નો દોહરાવ્યા, પરંતુ હું તેમના પ્રશ્નોના સાચા જવાબો આપી શકું તેમ ન હતો. એમને શી ખબર હતી કે આજે ‘કોરા કાગઝ’ જોવાના બદલામાં અમે બંનેએ સામસામા બબ્બે કોરા કાગળો ચીતરી કાઢ્યા હતા ! રોહિણીને ‘કોરા કાગઝ’ બતાવવા પાછળનો મારો આશય એ જ હતો કે અમારા દાંપત્યજીવનમાં આજસુધી એવું બન્યું તો ન હતું, પણ ભવિષ્યે એ ચલચિત્રનાં નાયકનાયિકાના જેવો મતભેદ અને તેમાંથી મનભેદ અમારી વચ્ચે ઊભો ન થાય. પરંતુ દુર્ભાગ્યની વાત એ બની ગઈ કે તેને એ ચલચિત્ર બતાવવા પહેલાં જ એક સામાન્ય બાબત ઉપર અમારી વચ્ચે હાલ તો એક અભેદ્ય દિવાલ ચણાઈ ગઈ હતી.
છેવટે મેં છોકરાઓને આપી શકાય તેવો જવાબ તો આપી દીધો કે, ‘તમારાં મમ્મા તમારા મામાના ઘરે ગયાં છે. હવે ચાલો, આપણે રસોઈ બનાવી દઈએ.’ મેં તેમના આગળ મારા મનોભાવ પ્રગટ થવા ન દીધા. આમ અશોક શાક સમારવા માંડ્યો અને મહેન્દ્રે સ્ટવ સળગાવવો શરૂ કર્યો. હું પેલો નાસ્તો બહાર ફેંકી આવીને ડબ્બામાંથી આટો કાઢવા માંડ્યો.
થોડીક વાર થઈ ન થઈ અને ત્યાં તો કૉલબેલ વાગી. મારા ‘કોણ’ પ્રશ્નનો જવાબ મને મળ્યો ‘રોહિણી !’
હું ચમક્યો. દરવાજો ખોલતાં જ મને સ્મિત કરતી રોહિણી દેખાઈ. હું વિસ્ફારિત નયને તેના સામે જોઈ રહ્યો. મારા આટાવાળા હાથ જોઈને એ સીધી જ રસોડામાં ગઈ અને તેણે ત્યાંનો તમાશો જોઈ લીધો.
અશોકે તો ‘મમ્મી આવી, મમ્મી આવી’ કહીને ઘર ગજવી દીધું. મહેન્દ્રે મારે પૂછવાનો પ્રશ્ન રોહિણીને પૂછી નાખ્યો, ‘કેમ મમ્મા, ગાડી ચૂકી ગયાં કે શું ?’
રોહિણીએ સ્ટવના અવાજમાં હું જ સાંભળી શકું તેમ મારા સામે આંખો ઉલાળતાં જવાબ આપ્યો, ‘ના, ગાડી ચૂકી ગઈ નથી !’ આમ કહેતાં તે મરકમરક હસી પડી. હું સમજી ગયો કે સાચે જ રોહિણીએ જવાનું માંડી વાળીને અથવા ગાડી ચૂકી જઈને અમારા મધુર દાંપત્યજીવનની ગાડીને બરાબરની પકડી જ રાખી હતી, મારા-અમારાં સહપ્રવાસી તરીકે ચાલુ રહેવા માટે જ તો !’
મેં ઘડિયાળ સામે જોયું, તો સાંજનો મેઈલ પકડી શકાય તેમ હતો. મેં મહેન્દ્રને સ્ટવ હોલવી નાખવાની સૂચના આપીને આદેશ ફરમાવી દીધો, ‘આપણે બધાંએ જવાનું છે !’
રોહિણીએ આશ્ચર્યચકિત થઈને પૂછી નાખ્યું, ‘પણ બધાં ?’
મેં કહ્યું, ‘હા, પછી તને વિગતે વાત કહીશ.’
* * * * *
રાત્રિના અંધકારને ચીરતો મેઈલ ઝડપભેર આગળ વધી રહ્યો હતો. ઉપરની બર્થ ઉપર છોકરાઓ ઊંઘી ગયા હતા. અમારી વચ્ચે સાંજની વાત છેડાવી શરૂ થઈ.
મેં શરૂઆત કરી કે, ‘જો રોહિણી, આપણી સાથેસાથે જ કદાચ આ જ મેઈલમાં તારા પર લખાયેલો મારો પત્ર સફર કરી રહ્યો હશે. તારા પિતાના ઘરે આપણે કાલે સવારે પહોંચીશું, જ્યારે એ પત્ર આપણને બપોરે મળશે. એ પત્ર તારે ટપાલી પાસેથી સીધો જ મેળવીને મને અકબંધ સોંપી દેવાનો છે, સમજી ? એ પત્ર મેળવવા અને તેની ગુપ્તતા તારાં બા-બાપુજી આગળ ખૂલી ન જાય તે પૂરતાં જ આપણે ત્યાં જઈ રહ્યાં છીએ. ચીમનકાકાની દીકરીનાં લગ્ન હાલ તો ગૌણ છે, મુખ્ય હેતુ તો છે એ પત્રને કબજે કરવાનો !’
‘પણ એ પત્રમાં એવું શું છે ? કંઈ અજુગતું છે કે શું ?’ રોહિણી ગંભીર બની ગઈ.
‘જે છે તે ઠીક છે. તને બતાવીશ ખરો, પણ ત્યાંથી પાછાં ફર્યા પછી જ; એ સ્થળે તો નહિ જ !’
‘પણ એ પત્ર ખૂલ્યા વગર જ રિડાયરેક્ટ થઈને આપણને પાછો મળી જાત, કેમ કે મારાં બા-બાપુજી એ કદીય ખોલે નહિ.’
‘તારી વાત સાચી, પણ પત્ર મોકલનાર તરીકે મારું નામ જુએ અને પછી માની લે કે તારા નીકળ્યા પછી જ આ પત્ર લખાયેલો હશે. પત્ર પહોંચે અને તું ત્યાં ન હોય તો સ્વાભાવિક છે કે તેમને ફિકર થાય કે વચ્ચે મુસાફરીમાં કોઈ દુ:ખદ ઘટના બની હશે કે શું ? આમ તું ઘરેથી ક્યારે નીકળી હશે એ વાતનો તાગ મેળવવાના આશયથી કદાચ પત્ર ફોડી નાખે અને જો એમ બને તો જિંદગીભર તારાં બા-બાપુજીથી મારે શરમાતા રહેવું પડે; વળી તેમનાં દિલોને ઊંડો આઘાત પણ પહોંચે !’
રોહિણીના ચહેરા ઉપરથી ક્ષણભર રંગ ઊડી જતો દેખાયો, પણ વળી પાછી સ્વસ્થ થતાં બોલી, ‘તો તો આપણે જવું સારું. પણ હવે તમને પૂછું છું કે મારી ચિઠ્ઠી વાંચ્યા પછી તમને શા શા વિચારો આવેલા ?’
‘એ વાત પછી. પહેલાં તું બતાવ કે ચિઠ્ઠી લખીને ગયા પછી તું પાછી કેમ ફરી ?’
રોહિણી હસી પડી અને બોલી, ‘મેં થોડી જવા માટે ચિઠ્ઠી લખી હતી ! મારે તો માત્ર તમારા પ્રત્યાઘાત જાણવા હતા. બાકી મેં તો ગઈ રાતે જ જવાનો વિચાર માંડી વાળ્યો હતો. બજારમાંથી ખરીદી કરીને આવ્યા પછી બહાર વરંડામાંથી કોલસાની બોરી ઉપર ચઢીને જાળીમાંથી ઘરનો તમાશો જોવાની મારી ઇચ્છા હતી; પણ બન્યું એવું કે બધી બસ ભરચક આવવાના લીધે હું અડધોએક કલાક મોડી પડી, એટલે હું તમાશાની શરૂઆત જોઈ ન શકી. છેલ્લે જ્યારે તમે બધા ચૂપચાપ રસોડામાં કામ કરી રહ્યા હતા, ત્યારે મેં કૉલબેલ વગાડી. આમ તમારો બગડેલો મુડ અને તમારા હાથની જે કંઈ ભાંગફોડ થઈ હોય તે મને જોવા ન મળ્યાં.’
હું હસ્યો, મોકળા મને હસ્યો. મારા સ્વભાવની હું પોતે જ દયા ખાઈને મારી મજાક કરતો હું ખડખડાટ હસતો રહ્યો. પછી તો મેં મારાં પરાક્રમોનું રજેરજ બયાન કરી દીધું.
વચ્ચેવચ્ચે તે પણ ખડખડાટ હસતી રહી. અમારી આસપાસ બેઠેલા મુસાફરોના કુતૂહલનો વિષય અમે બની રહ્યાં હોવા છતાં અમે અમારામાં જ ખોવાઈ ગયાં હતાં.
-વલીભાઈ મુસા
‘ચાંદની’ (૧૯૮૦)
Posted by Valibhai Musa on May 30, 2010 in લેખ, Character, gujarati, Human behavior
(190) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૧ (પાણીનું મૂલ્ય)
Click here to read Preamble in English
(Following Preamble is to be translated in Gujarati)
મારા આ ઓનલાઈન પ્રકાશન પાછળનો હેતુ મારા વાચકોને પ્રશિક્ષિત કરવાનો અને તેમનું મનોરંજન કરવાનો છે.
My aim behind this online publishing is to educate and entertain my Readers. I try my best to feed my articles in variety of topics. Moreover, I keep in mind that my subjects should vary so that the Readers of different ages can have benefits from.
Today, I am going to submit a Child Story in form of a letter or a speech addressed to Primary School level students. The story may look funny, but a very serious problem of water resources has been discussed.
I am thankful to the original writer of this Child Story which is used as my base content; and, that I have happened to pick from my treasure of old collections.
Now, please click further and read:
– Valibhai Musa
Dtd. : 25th June, 2007
Water (પાણીનું મૂલ્ય)- pdf
Posted by Valibhai Musa on May 29, 2010 in લેખ, gujarati, Human behavior, Humanity, Humor
(189) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૦ (લૉટરી)
Click here to read Gujarati story with Preamble in English
પશ્ચિમના દેશોમાં સરકારી લૉટરી લોકોમાં ખૂબ જ પ્રચલિત છે. લૉટરીમાંથી પ્રાપ્ત થતી આવક રાજ્યો કે દેશનાં લોકકલ્યાણનાં કામોમાં વપરાય છે. લૉટરી રમનારા બહુ જ મોટી રકમનાં રોકડ ઈનામો જીતી શકે છે અને કોઈક તો રાતોરાત ખૂબ જ ધનિક પણ થઈ શકતા હોય છે. આમ છતાંય વધારે પડતી લૉટરી રમવી એ નાણાંનો વ્યય હોવા ઉપરાંત ઘણીવાર આર્થિક મુશ્કેલીનું કારણ પણ બની શકે છે.
અહીં તમે ‘લૉટરી’ સાથે સંબંધિત એક વાર્તા વાંચશો. વાર્તાનું કથાવસ્તુ સાચી હકીકત ઉપર આધારિત છે. હું જ્યારે ૧૯૯૪માં અમેરિકા ગયો હતો, ત્યારે વાર્તામાંના પાત્ર (નામ બદલી દેવામાં આવ્યું છે) સાથે મારા મિત્ર જાફરભાઈના સ્ટોર ઉપર મારે મુલાકાત થઈ હતી. તેઓશ્રી સ્ટોરના જૂના ગ્રાહક હતા અને તેમના ચાલ્યા ગયા બાદ તેમના વિષેની સઘળી વાત મેં રસપૂર્વક સાંભળી હતી. આ સઘળી માહિતી તે વખતથી મારા મગજમાં સંગ્રહાએલી પડી હતી, જેણે આગળ જતાં ૨૦૦૩માં આ વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
દરેક કાર્ય હંમેશાં કારણમાંથી ઉદભવતું હોય છે, કારણ નહિ તો કાર્ય નહિ. જેવાં કારણો હોય તેવાં સારાં કે નરસાં કાર્યો નિપજતાં હોય છે. કેટલાંક કાર્યો માત્ર સહજભાવે થતાં કાર્યો જ હોય છે અને તેથી પેલા સારા કે નરસા એવા વિભાગ હેઠળ આવતાં નથી. કોઈપણ વ્યક્તિ કોઈ ઘટનાને કેવા દૃષ્ટિકોણથી જૂએ છે કે વિચારે છે તે મુજબ તેની સારાનરસાની વ્યાખ્યા આકાર લેતી હોય છે. કોઈ એક કાર્ય એક જણને સારું લાગે, તો તે જ કાર્ય અન્યને ખરાબ પણ લાગી શકે. આ બહુ જ સરળ છતાંય સંદિગ્ધ લાગતી માનવના સ્વભાવની સમસ્યાને મારી વાર્તામાં વણી લેવામાં આવી છે.
અહીં મને મારા અભ્યાસકાળ દરમિયાન વાંચેલી કવિતા યાદ આવે છે. ઘણું કરીને તે કાવ્યના કવિ હતા રમણિક અરાલવાળા અને કાવ્યનું શીર્ષક હતું ‘દૃષ્ટિભેદ’. સુખ અને દુ:ખની વ્યાખ્યા ઉપર આવવા પહેલાં કવિ કેટલાંક ઉદાહરણો આપે છે. અંતે કવિ પોતાનું સુખદુ:ખ અંગેનું મંતવ્ય એ રીતે રજૂ કરે છે કે કોઈપણ પરિસ્થિતિને જોનારો તેનો દૃષ્ટા તેના દૃષ્ટિભેદ પ્રમાણે એક જ પરિસ્થિતિને સુખદાયક કે દુ:ખદાયક સમજતો હોય છે. અહીં હું અનેક ઉદાહરણો પૈકી માત્ર એક જ ટાંકીશ. આ ઉદાહરણ છે, પૂર્ણિમાની રાત્રિનું. જે લોકો આર્થિક રીતે સુખી છે અને પોતાના પ્રિયજનની સાથે છે, તેઓ પૂર્ણિમાની રાત્રિનો ભરપુર આનંદ લૂંટતા હોય છે; પણ જેઓ દુ:ખી છે અને પ્રિયજનથી દૂર છે તેઓ અને ચોર લોકો એ જ રાત્રિને ગોઝારી એટલે કે અપ્રિય ગણતા હોય છે. રાત્રિ તો એક જ છે; પણ તેને જોવાના દૃષ્ટિકોણ અલગઅલગ છે, પરિસ્થિતિઓ અલગઅલગ છે અને તેને જોનારા દૃષ્ટાઓ પણ અલગઅલગ છે. છેલ્લે કવિ કાવ્યનું સમાપન કરતાં કહે છે કે સુખ અને દુ:ખ માનવી જ નક્કી કરે છે, જ્યારે કુદરત તો હંમેશાં તટસ્થ જ હોય છે. તેને તો કોઈ લેવાદેવા નથી હોતી કે કે જુદીજુદી જાતના લોકો ઉપર કોઈ એક જ ઘટનાની કેવી કેવી અસર પડે છે. આમ આ તો કુદરતની સ્વાભાવિક પ્રક્રિયા છે કે જે પોતાની રીતે પોતાના માર્ગે મુક્ત રીતે વહ્યા જ કરે છે.
આવો અને ઉપર ચર્ચિત તત્ત્વદર્શી વાતને સમજવા માટે આગળ વાંચો. ધન્યવાદ.
– વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
લૉટરી
‘ઓ માય ગોડ ! આઈ કાન્ટ બિલીવ !’ના હૃદયદ્રાવક ઉદગાર સાથે મારિયાના હાથમાંથી બંડલ સરકીને ફ્લોર ઉપર પડી ગયું. પછી તો તે બહાવરી બનીને કબાટના પ્રત્યેક ખાનાને ફંફોસી વળી. તેના પગ આગળ એવાં જ બંડલોનો ઢગલો થતો રહ્યો. કબાટને યથાવત્ રાખીને રાડ પાડતી મારિયા પાસેની ઇઝીચેર ઉપર ઢગલો થઈને ફસકી પડી. હીબકાં ભરતી ચોધાર આંસુએ મારિયા હૈયાફાટ રડવા માંડી.
આજે વહેલી પરોઢે જ્યારે જ્યોર્જ હાર્ટએટેકથી મૃત્યુ પામ્યો હતો, ત્યારે તેની પાંપણો પણ ભીની થઈ ન હતી. ચર્ચયાર્ડમાં તેની દફનવિધિ વખતે પણ તે જ્યોર્જની ત્રાહિત વ્યક્તિની જેમ શૂન્યમનસ્ક ઊભી રહી હતી. સ્નેહીજનો શિષ્ટાચાર ખાતર મારિયાનો હાથ દબાવીને, ખભા ઉપર હાથ મૂકીને કે પછી મસ્તક ઉપર હાથ પસવારીને સૌ કોઈ શબ્દો દ્વારા અથવા મૌન રહીને દિલાસો આપતાં હતાં, તે વખતે મારિયાને આવાં કૃત્રિમ કે વાસ્તવિક આશ્વાસનોની જરૂર ન હતી; કેમ કે તે રૂઢિચૂસ્ત અને ધર્મપરાયણ સાચી અમેરિકન મહિલા હતી.
જીવન-મૃત્યુ, હર્ષશોક, અમીરી-ગરીબી, તંદુરસ્તી-બીમારીકે જીવનના કોઈપણ ચઢાવઉતારને પ્રભુની ઇચ્છા સમજનારી સ્થિતપ્રજ્ઞ આ મારિયાને કબાટ પાસેનાં લૉટરીની ટિકિટોનાં બંડલોના ઢગલાએ એવી તો અકળાવી દીધી હતી કે હવે તેના રૂદન ઉપર પોતાનો કોઈ કાબૂ રહ્યો ન હતો. દિવસભર જ્યારે તેને આશ્વાસનની જરૂર ન હતી, ત્યારે તે ફરજ બજાવનારાં ઘણાંબધાં હતાં. પરંતુ હાલ જ્યારે તેને લાગેલા આઘાતમાંથી ઊગરવું છે, ત્યારે સૂમસામ બંગલામાં પોતે અને પોતાના રૂદનના પડઘા સિવાય કોઈ ન હતું. દૂરદૂરનાં અલગ અલગ સ્ટેટમાં પોતપોતાનાં પરિવારો સાથે રહેતાં દીકરા-દીકરીઓનાં આગમન તો હવે આવતી કાલથી શરૂ થશે. શું ત્યાં સુધી પોતે રડ્યે જ જવાનું કે પછી આપમેળે જ ચૂપ થઈ જવાનું !
પરંતુ મારિયા પોતાના જ આશ્ચર્ય વચ્ચે અચાનક રડતી બંધ થઈ ગઈ. આમ થવામાં મારિયાનું પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું સોશિઅલ સાયન્સીઝની વિવિધ વિદ્યાશાખાઓનું વાંચન સહાયરૂપ બન્યું.
મારિયાના ચિત્તે ચિંતનનાં સોપાનો ચઢવાનું શરૂ કર્યું. પ્રથમ સોપાને તેણે ભયના સંવેગ વિષે વિચારવા માંડ્યું. તેને રાજનીતિના એક પ્રચલિત સૂત્રની યાદ આવી ગઈ કે ‘ભય વિના પ્રીતિ નહિ’. રાજાશાહી કે સરમુખત્યારશાહી શાસનપ્રથામાં શાસકનો ભય પ્રજાને અનુશાસનમાં રાખે. લોકશાહીમાં પણ હળવી માત્રામાં આ જ નિયમ લાગુ પડે. પણ…પણ પ્રજાને ક્યાં સુધી ભયભીત રાખી શકાય ? ભયનું સાતત્ય ભય પામનારને કોઈક એવી પળ સુધીમાં તો એવી સ્થિતિ ઉપર લાવી દે કે પોતે ભય સામે બાથ ભીડવાની ક્ષમતા ધારણ કરી લે. પરંતુ આ તો થઈ દુન્યવી રાજ્યવ્યવસ્થાના ભિન્નભિન્ન પ્રકારોની વાત કે જ્યાં ભય ઉપર નિર્ભયતા કદાચ જીત મેળવી પણ લે !
મારિયાના ચિંતને રાજ્યશાસ્ત્ર તરફથી ધર્મશાસ્ત્ર તરફ વળાંક લીધો અને વિચારવા માંડી કે ‘પરંતુ એકમાત્ર સામ્રાજ્ય એવું છે કે જ્યાં ભયનો ભય સદા પ્રજ્વલિત જ રહે છે, કદીય ઠંડો નથી પડતો ! એ છે પ્રભુનું સામ્રાજ્ય ! ઈશ્વર એ તો સમ્રાટોનો સમ્રાટ, શાસકોનો શાસક, પોતાનાં પ્રત્યેક સર્જનોનો સર્જક; પણ પોતે તો સ્વયંભૂ જ ! ધાર્મિક વૃત્તિવાળા લોકો ડરતા હોય છે, ઈશ્વરથી; અને જે ઈશ્વરથી પણ નથી ડરતા, તે ડરતા હોય છે, મૃત્યુથી ! જો કે ઈશ્વર તો કૃપાળુ છે, કોઈને ડરાવે શાનો ! પરંતુ ધર્મશાસ્ત્રોમાં માનવીઓને ઈશ્વરથી અને મૃત્યુથી ડરવાનું પ્રબોધાયું છે.’
મારિયા જ્યોર્જના રિડીંગરૂમના કબાટ પાસેના નિષ્ફળ લૉટરીની ટિકિટોના ઢગલાને ટ્યુબલાઈટના ઝળહળતા પ્રકાશમાં જોઈ રહી અને વિચારવા માંડી કે, ‘જ્યોર્જ તેમના ચારચાર દાયકાના દાંપત્યજીવન દરમિયાન કાં તો ઈશ્વરથી ડર્યો નથી કે પછી મૃત્યુથી પણ ડર્યો નથી ! જો ડર્યો હોય તો માત્ર પોતાનાથી એટલે કે મારાથી, મારિયાથી !’
‘અરરર… જ્યોર્જે મને કેવા સ્થાને બેસાડી દીધી ! પોતાના મૃત્યુથી અને સૌના ઈશ્વરથી પણ ઉપર ! મારાથી ડરીને, મને અંધારામાં રાખીને, ચોરીછૂપીથી મને ગંધ પણ ન આવે તેવી રીતે આટઆટલાં વર્ષો સુધી લૉટરીનો જુગાર ખેલતો રહ્યો ! માન્યામાં આવતું નથી ! એ જાણતો હતો કે મારિયાને હરામની કમાણી ખપતી નથી ! એને ખબર હતી કે અમારું હંગેરીઅન ભાષાનું દૈનિક સમાચારપત્ર લૉટરીનાં પરિણામો ન છાપવાના કારણે બહોળો ફેલાવો ન પામી શકતાં વેચી દેવું પડ્યું હતું. વાચકોની વિનંતિઓ સામે મેં મચક આપી ન હતી. જ્યોર્જે મારા પ્રત્યેના પ્રેમના કારણે કે પછી મને રાજી રાખવા મારી વાત સાથે સંમત થયો હતો. જો તેનું સાચા દિલનું સમર્થન હતું, તો પછી તેના વર્તનમાં આમ કેમ બન્યું !’
મારિયા મુંઝવણમાં મુકાઈ ગઈ કે, ‘આજે જ અવસાન પામેલા જ્યોર્જને તેના આ ગુનાહિત કૃત્ય બદલ ધિક્કારવો કે પછી તેની દયા ખાવી ! તેના અનૈતિક કૃત્યથી મારી લાગણીને ભલે ઠેસ પહોંચી હોય, પણ આ અપવાદ સિવાય જીવનભર તેણે સુખ કે દુ:ખમાં ખરા દિલથી મને ચાહી છે; તો તેનો તિરસ્કાર તો કેવી રીતે કરી શકું ! વળી એ પણ તેના મૃત્યુ પછી ! જે થયું તે બદલી શકાય તેમ નથી, તો શા માટે મારે તેના આત્માને વ્યથિત કરવો !
જ્યોર્જ હયાત હોત અને આ ભંડો ફૂટ્યો હોત તો કદાચ કંઈક જુદું જ પરિણામ આવત ! મારિયાએ સહૃદયતાપૂર્વક જ્યોર્જને માફ તો કરી દીધો, પણ તેની જિજ્ઞાસા વધી પડી એ જાણવા માટે કે તેનામાં આ નકારાત્મક વલણ ક્યારથી અને કેમ દાખલ થયું ! જ્યોર્જના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ માટેની મારિયાની ઉત્કંઠા વધી ગઈ. સમગ્ર પ્રકરણને સંતાનોથી છુપાવવાના બદલે તેમના જ સહકારથી જ્યોર્જની આ આદતના સમયગાળાને શોધી કાઢવાનું માર્યાએ વિચાર્યું. લૉટરીનાં બંડલો ઉથલાવવાથી જૂનામાં જૂની તારીખ મળી જવાની આશા બંધાઈ. વળી કોઈ ટિકિટોનો નિકાલ કરી દેવામાં આવ્યો હોય તો જે તે લૉટરીવિક્રેતા પાસેથી જ્યોર્જ તેમનો કેટલા સમયથી ગ્રાહક હતો તે જાણવું સરળ હતું. મારિયા મનોવૈજ્ઞાનિક પરિભાષામાં જાણવા માગતી હતી કે દશેક વર્ષ પહેલાં તેમનું અખબાર વેચાઈ ગયા પછી જ્યોર્જ લૉટરીના રવાડે ચઢ્યો હતો કે તે પહેલાંથી જ તેની લત હતી. જો પહેલેથી જ તેમ હોય, તો મારિયાએ વિચાર્યું કે, ‘તો દાદ દેવી પડે તેની દિલી મહાનતાને અને સાથેસાથે તેની ચતુરાઈને કે જેણે પોતાની બૉડી લેન્ગવેજથી પણ મને આ વાતનો અણસાર સુદ્ધાં ન આવવા દીધો!’
મારિયાના વિચારોએ મૂળ વાતને વળગી રહેતાં થોડીક અવળી દિશા પકડી, ‘જ્યોર્જને નાણાંની ભૂખ ન હતી. સુખેથી જીવી શકાય તેવી રોયલ્ટીની આવક હતી. સ્ટૉકના ધંધામાં કમાએલાં અઢળક નાણાંની બેંકરસીદો હતી. ભવિષ્યની સલામતી માટે વ્યક્તિગત અને સંયુક્ત વીમાઓનું રક્ષણ હતું. સંતાનોને સારામાં સારું શિક્ષણ આપ્યું હતું અને સૌ પગભર હતાં. આલીશાન બંગલો અને બંને માટેની જુદીજુદી કાર હતી. આટલું બધું હોવા છતાં અગમ્ય એવું શું કારણ હતું કે જ્યોર્જ લૉટરીના અનૈતિક માર્ગે ચઢ્યો હતો. લૉટરીમાં કમાયો હશે કે ખોયું હશે ?
મારિયાની ધાર્મિકતા અને રૂઢિચૂસ્તતાએ તેને હળવેથી એ મુદ્દે વિચારતી કરી કે ‘ઈશ્વરસર્જિત મહામૂલ્ય માનવીને આત્મનિર્ભર થવા માટે શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓ મળી છે. પરિશ્રમ અને પ્રમાણિકતાથી રોજીરોટી મેળવવાની કૌવત છતાં માનવી પોતાના ભાગ્યને બદલવા આવા ટૂંકા માર્ગ અપનાવે તે કેવું કહેવાય !’
આગળ વિચારવાનું પડતું મૂકીને મારિયા ઇઝીચેરમાંથી સફાળી બેઠી થઈ. જ્યોર્જની લૉટરીપ્રિયતાનો કોઈ સંકેત મળી જાય તે આશાએ તેણે જ્યોર્જના રાઈટીંગ ટેબલનાં ખાનાંઓને વારાફરતી ખેંચવા માંડ્યું. વચ્ચેના ખાનાના ઊંડણના ગુપ્ત ખાનામાંથી એક પરબીડિયું તેના હાથે ચઢ્યું. ઉપર મારિયાનું નામ હતું. તેણે કુતૂહલપૂર્વક ઝડપભેર વાંચવા માંડ્યું. આમાં લખ્યું હતું :
‘વહાલી મારિયા,
જીવનભર તારો ગુનેગાર બનીને હું લૉટરી રમતો રહ્યો છું. અનેકવાર ખોટાં બહાનાં બતાવીને તારાથી વિખૂટો પડીને લૉટરીની ટિકિટો ખરીદવાનું તને અપ્રિય કામ હું કરતો રહ્યો. મારું કૃત્ય માફીને લાયક ન હોવા છતાં હું આશાવાદી છું કે તું મને માફ કરશે જ. તારો ઉદ્દામવાડી સ્વભાવ તને રોકશે, પણ તારો મારા પ્રત્યેનો અનહદ પ્રેમ તને માફ કરવાની ફરજ પાડશે.
મારા મતે સરકારી લૉટરી જુગાર ન હતી. ખાનગી સટ્ટાબજાર કે કેસિનોવાળાઓ કરતાં આ લૉટરી અલગ પડતી હતી. તેની વ્યવસ્થા અને વિશ્વસનીયતા વિષે કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ હું માનું છું કે લૉટરીની રમતનો અતિરેક કોઈના જીવનને બરબાદ પણ કરી શકે. ખેર, અહીં આ ચર્ચાને હું સમાપ્ત કરું છું. પ્લીઝ, હવે આગળ વાંચ.
તું મારા જીવનમાં આવી, ત્યારે એક જીવતી-જાગતી લૉટરી જ બનીને આવી હતી. મારી પાસે ગરીબી સિવાય બીજું શું હતું ? લગ્નપૂર્વેના મારા જીવનથી તું પરિચિત હોવા છતાં ફરી પુનરાવર્તન એટલા માટે કરું છું કે સુખ અને સમૃદ્ધિનાં સ્વપ્ન મેં એ દિવસોમાં જ સેવ્યાં હતાં. કોઈક વિચારકે કહ્યું છે કે જ્યારે કોઈ માણસ સ્વપ્નો સેવતો બંધ થઈ જાય, ત્યારે માની લેવું કે તેણે મરવાની શરૂઆત કરી દીધી. સ્વપ્ન એ તો જીવનનો પ્રાણવાયુ છે. હતાશાપૂર્ણ એ દિવસોમાં સ્વપ્નોએ તો મને જીવતો રાખ્યો છે. સ્વપ્નો સિદ્ધ થવા માટે પુરુષાર્થ અને પ્રારબ્ધ જરૂરી છે. શરાબી અને લંપટ પિતાથી ત્રાસી ગયેલી મારી માતા બીજે પરણી ગઈ હતી. અમને ભાઈ-બહેનોને જીવાડવા માટે શૉપલિફ્ટીંગથી માંડીને ઘરફોડ ચોરીઓ સુધી પહોંચી ગયેલો મારો બાપ જેલમાં વધારે અને બહાર ઓછો એમ કરતાંકરતાં જેલમાં જ અવસાન પામ્યો. હું સંઘર્ષ કરતો હતો, ત્યારે મારા ભાગ્યને જગાડવા મારી પાસે માત્ર લૉટરીનો જ સહારો હતો. તને આશ્ચર્ય થશે કે તે દિવસોમાં લૉટરી મારા ભાગ્યને જગાડી શકી ન હતી, પણ તેણે મને જીવતો રાખ્યો હતો અને તે જ મારા માટે પૂરતું હતું.
જોગસંજોગે હું તારા પિતાજીના અખબારમાં મામુલી કમ્પોઝીટરમાંથી મારી મહેનત અને કામ પ્રત્યેની વફાદારી વડે મેનેજીંગ ડિરેક્ટર પદે પહોંચ્યો. આ ગાળામાં આપણી વચ્ચે પ્રણ્યના અંકુર ફૂટ્યા. તારા મહાન પિતાએ મને તારા કુટુંબમાં સમાવી દીધો. તું અઢળક સંપત્તિની એકમાત્ર વારસ અને હું માત્ર તારો સહભાગી જ બની રહ્યો. આંખના પલકારામાં તારું એ આપણું બની ગયું. મારી કૌટુંબિક જવાબદારીઓ પણ આપણી સહિયારી બની ગઈ. મારા જીવનમાં તારી સાથેનું જોડાણ એ એક રીતે તો બે આત્માઓનું જોડાણ બની રહ્યું. પ્રેમાળ, નિરભિમાની અને સંવેદનશીલ પત્ની પામવાનું સૌભાગ્ય મારા જેવા કોઈ નસીબદારને જ પ્રાપ્ત થાય. આપણા પાશ્ચાત્ય ઢબના કૌટુંબિક જીવનમાં અશક્ય ગણાય તે આપણા જીવનમાં શક્ય બન્યું. મારા માટે તો તું મૂલ્યમાં ન આંકી શકાય તેવો લૉટરીનો મોટો જેકપૉટ પુરવાર થઈ. ભૌતિક અને આધ્યાત્મિક એમ બંને પ્રકારે મૂલ્યવાન તેવી તારા જેવી મૂલ્યવાન લૉટરી સામે મેં કાગળની એકાદ કે અડધા ડૉલરની ટિકિટોને પ્રાધાન્ય આપ્યું, તેમ જો તને લાગે તો મને માફ કરી દેજે. તું મહાન છે, બાકી તને છેહ દેવા પાછળ મારી કોઈ ધનલાલસા ન હતી.
હવે હું જરૂરી મૂળ મુદ્દા ઉપર આવું છું. આપણા શહેરની વેસ્ટ એન્ડ વિસ્તારની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં મારું એક એકાઉન્ટ છે. પ્રથમ નોમિની તરીકે તારું નામ અને ઈશ્વર ન કરે અને તું હયાત ન હોય તો બીજા નોમિની તરીકે આપણા શહેરના જે તે વખતે જે હોય તે શેરીફને નિયુક્ત કર્યા છે. લૉટરીની ટિકિટો આપણી આવકમાંથી ખરીદાઈ છે, પણ નાનાંમોટાં લાગેલાં સઘળાં ઈનામો તે ખાતામાં માત્ર જમા જ થતાં રહ્યાં છે. ઉપાડ માટે મેં કોઈ ચેક્સુવિધા લીધી નથી. ખાતામાં કેટલી રકમ હશે તે જાણવાની ઇચ્છા ન થાય તે માટે મેં પાસબુક પણ મેળવેલ નથી. બેંક તરફના ખાતાને લગતા કોઈ પત્રવ્યવહાર માટે લાઈફ ટાઈમ રેન્ટ ભરેલા પોસ્ટ બોક્ષનો સહારો લીધો છે.
છેલ્લે આશા રાખું છું કે આ ખાતામાંથી જે કંઈ રકમ મળે તે ઉપરાંત મારા પોતાના પાકતા વીમાની રકમને સામેલ કરીને તેનું ફેમિલી ટ્રસ્ટ બનાવીને વ્યાજની આવકમાંથી તને ઠીક લાગે તેવી ચેરિટી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે. ઈશ્વર તને દીર્ઘાયુષ્ય બક્ષે. તું પણ મને માફી બક્ષે તે જ અભ્યર્થના સાથે વિરમું છું.
તારો અને શાશ્વત કાળ પર્યંત માત્ર તારો જ,
જ્યોર્જ’
પત્ર પૂરો થયો. આંખોમાં અશ્રુ તો ઊભરાયાં, પણ વેદના શમી ગઈ. ત્વરિત નિર્ણય લેવાઈ ગયો, ફેમિલી ટ્રસ્ટ રચી દેવાનો. ટ્રસ્ટનો બીજો કોઈ હેતુ નહિ, માત્ર એક જ કે જ્યોર્જની મૃત્યુતિથિએ વર્ષભરની આવક જેટલી લૉટરીની ટિકિટોનું જરૂરિયાતમંદ લોકોમાં મફત વિતરણ કરવું.
આનાથી વિશેષ સારી બીજી કઈ રીતે જ્યોર્જને અંજલિ આપી શકાય તેમ હતી !
-વલીભાઈ મુસા
તા.૨૧-૧૦-૨૦૦૩
Posted by Valibhai Musa on May 28, 2010 in લેખ, Character, Culture, gujarati, Human behavior, Humanity, PDF Attachment
[…] Click here to read in English […]