ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (શેર ૧૦ થી ૧૧)
મૈં ને મજનૂઁ પે લડ઼કપન મેં ‘અસદ’
સંગ ઉઠાયા થા કિ સર યાદ આયા (૧૦)
[લડ઼કપન= બાળપણ, શરારત; સંગ= પથ્થર; અસદ (ફા.)= સિંહ]
રસદર્શન
ગ઼ઝલનો આ મક્તા શેર છે, છતાંય કે તે આખરી શેર નથી. મક્તા શેરમાં ગ઼ઝલકાર પોતાનું નામ દર્શાવતો હોય છે. અહીં ગ઼ાલિબે પોતાના મૂળ નામ અસદને પ્રયોજ્યું છે. આ શેરમાં લૈલા-મજનૂની કાલ્પનિક પણ ખ્યાતનામ પ્રેમકહાનીના નાયક મજનૂનો ઉલ્લેખ થયો છે. લૈલાના પ્રેમમાં પાગલ બનેલા મજનૂને શેરીનાં અબૂધ બાળકો તેના માથા ઉપર પથ્થરો મારીને ક્રૂર આનંદ માણતાં હોય છે. અહીં ગ઼ાલિબ શાયરાના અંદાઝમાં કલ્પના કરે છે કે મજનૂને સંગસાર કરતાં બાળકોભેગા જાણે કે તે પોતે પણ હાજર છે! વળી માત્ર હાજર જ નહિ, પરંતુ મજનૂના માથા ઉપર ઘા કરવા માટે તેમના હાથમાં પથ્થર પણ ઉઠાવે છે. પથ્થરનો પ્રહાર કરવા પહેલાં મજનૂના લોહીલુહાણ માથાને જોતાં તેમનું હૃદય દ્રવી ઊઠે છે. મજનૂની વેદના પરત્વે સંવેદના જાગતાં તેમને ખ્યાલ આવે છે કે એ બિચારાને કેવીક તો પીડા થતી હશે! આમ મજનૂને મારવા માટેનો પથ્થર હાથમાં લેતાંની સાથે જ શાયરને તેમનું પોતાનું માથું યાદ આવી જાય છે અને મજનૂની વેદનાને અનુભવી લે છે. અહીં ઇંગિત ભાવે સમજી લેવું પડે કે શાયર બીજાં બાળકો જેવી ક્રૂરતા ન આચરતાં પોતાના હાથને રોકી રાખે છે. આમ ગ઼ઝલનો આ શેર કલ્પનાતીત એવો ભવ્ય બની રહે છે.
* * *
વસ્લ મેં હિજ્ર કા ડર યાદ આયા
ઐન જન્નત મેં સક઼ર યાદ આયા (૧૧)
[વસ્લ= મિલન; હિજ્ર= એકલવાયાપણું, વિયોગ; ઐન= આંખ, નજર(અહીં); સક઼ર= નર્ક, દોજખ]
રસદર્શન
ગ઼ઝલનો આ શેર આખરી છે, પણ તેમાં ગ઼ઝલકારનો નામોલ્લેખ ન હોઈ તેને મક્તા શેર ન ગણી શકાય. શેરના પહેલા અને બીજા મિસરામાં દૃષ્ટાંતો ભિન્ન છે, પણ વાત તો ‘લગભગ’ એક જ કહેવાય છે કે જીવનમાં સુખ માણવાના દિવસો હોય, ત્યારે દુ:ખનો પણ ડર રાખવો જોઈએ. સુખ પછી દુ:ખ આવી પડવાની સંભાવના હોઈ શકે છે અને તેથી સુખને શાશ્વત ન ગણતાં તેને વિવેકબુદ્ધિથી અવશ્ય માણીએ તો ખરા, પણ સંભવિત આવનારાં દુ:ખો સામે લડવા અને ટકવા માટેની માનસિક તૈયારી પણ એટલી જ જરૂરી છે.
મિલનમાં સુખ હોય છે, તો વિયોગમાં દુ:ખ હોય છે. અહીં સુખનાં પ્રતીકો મિલન અને જન્નત છે, તો દુ:ખનાં પ્રતીકો તરીકે વિયોગ અને નર્ક છે. મારા ઉપરોક્ત ફકરામાં મેં ‘લગભગ’ શબ્દ વાપર્યો છે તે સહેતુક છે, કેમ કે બંને મિસરાઓમાંનાં દૃષ્ટાંતોમાં સૂક્ષ્મ ભેદ છે. પહેલા મિસરામાં મિલનના આનંદ પછી વિયોગના દુ:ખને આવવાની સંભાવના છે અને સંભાવનાનો વિચાર માત્ર આવી જતાં એ મિલનના સુખને શાંતિથી માણી શકાતું નથી. હવે બીજા મિસરામાંનાં સ્વર્ગ અને નર્ક પૈકીની કોઈ એકની પ્રાપ્તિ થઈ શકે અને તે અચલ જ રહેવાની, કેમ કે સ્વર્ગના જીવાત્માને નર્કમાં ધકેલી શકાય નહિ. વળી તે જ પ્રમાણે પાપકર્મોની સજા રૂપે જેને નર્કની સજા થઈ હોય તેનું કદીય સ્વર્ગમાં સ્થાનાંતર થઈ શકે નહિ. આમ છતાંય આ દૃષ્ટાંતને વ્યાજબી એ રીતે ઠરાવી શકાય કે સ્વર્ગીય સુખ માણનાર જીવાત્મા જો નર્કની યાતનાઓનો વિચારમાત્ર લાવે તો પણ તે પેલા સુખનો લુત્ફ લઈ શકે. આમ પહેલા મિસરામાં ‘ડર’ શબ્દ પ્રયોજાયો છે, તો બીજા મિસરામાં ‘યાદ’ શબ્દ પ્રયોજાયો છે, જે ‘યાદ આયા’ રદીફના એક શબ્દ તરીકે તો છે જ; પણ અહીં તે બેવડી ભૂમિકા ભજવે છે.
આટલા સુધીની ચર્ચામાં વાચકોના ધ્યાન ઉપર ‘ઐન’ શબ્દપ્રયોગને લાવી દઉં, કેમ કે તેનો તો કોઈ ઉલ્લેખ જ થયો નથી. ‘ઐન’નો અર્થ આંખ છે,પણ અહીં તેને ‘નજર’ના અર્થમાં લઈશું તો સમજાશે કે શાયરની નજર જ્યારે સ્વર્ગ તરફ મંડાયેલી છે, ત્યારે તરત જ તેમને નર્કની યાદ આવી જાય છે અને તેની યાતનાઓનો ચિતાર પણ આંખ કે નજર સામે ખડો થઈ જાય છે.
(સંપૂર્ણ)
– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)
– વલીભાઈ મુસા (રસદર્શનકાર)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
[…] એવી મારી એક વાર્તા ‘The Proof’ જેનો મેં ‘સાબિતી’ શીર્ષકે અનુવાદ પણ આપ્યો છે તે વાંચી […]