RSS

(645) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૭૧  (આંશિક ભાગ –૨)કભી નેકી ભી ઉસ કે જી મેં (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (રસદર્શનકાર)

30 Nov

કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુઝ સે  (શેર ૪ થી ૬)

ઉધર વો બદ-ગુમાની હૈ ઇધર યે ના-તવાની હૈ
ન પૂછા જાએ હૈ ઉસ સે ન બોલા જાએ હૈ મુઝ સે (૪)

[બદ-ગુમાની= વહેમ, અવિશ્વાસ, મિથ્યાભિમાન, અક્કડ વલણ; ના-તવાની= કમજોરી, નિર્બળતા, ભીરુતા] 

રસદર્શન :

આ શેર સીધોસાદો અને નવીનતાવિહીન લાગતો હોવા છતાં તેમાં લાલિત્યસભર પૂર્ણ સુંદરતા સમાયેલી છે. વળી પ્રથમ મિસરામાં અન્યોન્ય સાથે પડઘાતા ‘ઉધર’ અને ઇધર શબ્દો લયબદ્ધતા સાધે છે. આ  બંને શબ્દો દૂરનું અને નજીકનું એવું અંતર તો  દર્શાવે છે, પણ ગ઼ાલિબની અહીં કમાલ એ છે કે તે માશૂક અને માશૂકા વચ્ચેના શારીરિક અંતરના બદલે તેમના ભાવાત્મક અંતરને દર્શાવે છે. માશૂકાનું મિથ્યાભિમાન કે અક્કડ વલણ સામેના છેડે છે, તો માશૂક પક્ષે તેમની ભીરુતા આ પક્ષે છે. આમ બંને પક્ષની સ્વભાવગત નિર્બળતા એવી પરિસ્થિતિ જન્માવે છે કે એ બેઉ વચ્ચે વાણીવિનિમય (Communication) થઈ શકતો નથી, અર્થાત્ બંને વચ્ચે ચૂપકીદી સર્જાઈ રહે છે. માશૂકાની બદગુમાની તેને કંઈક પૂછવા કે જાણવાથી રોકે છે, તો વળી માશૂકની ભીરુતા કે સંકોચ તેને બોલવાથી રોકે છે; અને આમ બંને વચ્ચે મૌન સર્જાય છે અને જડ પૂતળાંની જેમ તેઓ એકબીજાથી દૂર ને દૂર ઊભાં રહી જાય છે. આમ આ શેરનું પઠન કરતાં આપણી નજર સમક્ષ એક મનમોહક શબ્દચિત્ર ખડું થઈ જાય છે.    

* * *

સઁભલને દે મુઝે ઐ ના-ઉમ્મીદી ક્યા ક઼યામત હૈ   
કિ દામાન-એ-ખ઼યાલ-એ-યાર છૂટા જાએ હૈ મુઝ સે (૫)

[ના-ઉમ્મીદી= નિરાશા; ક઼યામત= ન્યાયનો દિવસ, આફત-બલા (અહીં); દામાન-એ-ખ઼યાલ-એ-યાર= માશૂક/દોસ્તના વિચારનો તંતુ છેડો (સાથ)]

રસદર્શન :

શેરનો પ્રથમ મિસરો સ્વગતોક્તિ (Soliloquy)માં છે. માશૂક પોતાની નિરાશાને સંબોધતાં કહે છે તું મને સ્થિર થવા દે, કેમ કે મારા પગ તારા કારણે લથડિયાં ખાઈ રહ્યા છે. માણસ જ્યારે ઘોર નિરાશામાં સપડાય ત્યારે તેનું શરીર નિશ્ચેતન થવા માંડે છે અને ગાત્રો ઢીલાં થતાં જાય છે. અહીં એક ફિલ્મી ગીતની પંક્તિ ‘મહોબ્બતમેં ઐસે કદમ ડગમગાયે!’ યાદ આવી જાય છે વળી અહીં ‘કયામત’ શબ્દ બોલચાલ (Colloquial)ના અર્થમાં છે, નહિ કે ખ્રિસ્તી કે મુસ્લીમ મત મુજબના કયામત (Doomsday)ના અર્થમાં. અહીં માશૂકની નિરાશા પરાકાષ્ઠામાં હોઈ તેને કયામતના ત્રાસ જેવી કલ્પવામાં આવી છે. ગ઼ાલિબ શેરના બીજા મિસરામાં માશૂકાના મિલનની નાઉમ્મીદીને બેહદ આગળ લઈ જતાં માશૂકના મુખે એમ કહેવડાવે છે કે ‘હે મારી નાઉમ્મીદી, કયામતની યાદ અપાવી જાય એવી તું મારા ડગમગતા પગને સ્થિર થવા દે અર્થાત્ કે મારી જાતને સંભાળી લેવા દે!’ અહીં સ્પષ્ટ સમજાઈ જ જાય છે કે માશૂકની નાઉમ્મીદી એટલે માશૂકાને પામી ન શકવાની નિરાશાજનક મન:સ્થિતિ. 

શેરના બીજા મિસરામાં માત્ર ગ઼ાલિબ જ આપી શકે તેવી પરિકલ્પના એ છે કે માશૂકાથી સદેહે વિખૂટા પડ્યાના દુ:ખના વિચારોને રસ્સાની જેમ પોતાના માનસપટમાં મજબૂતીથી જકડી રાખનાર માશૂકની હવે તો એ હાલત થઈ ગઈ છે કે એ રસ્સાનો છેડો પણ જાણે કે હાથમાંથી સરકી રહ્યો છે. આમ માશૂકા અંગેના વિચારો જે એક માત્ર સહારારૂપ હતા, તે પણ હવે હાથમાંથી જઈ રહ્યા છે।  અહીં માશૂકા ભુલાઈ રહી છે એમ અભિપ્રેત નથી, પણ માશૂકાના વિરહના કારણે માશૂકનું મન એવું તો સુન્ન (મૂઢ) થઈ ગયું છે કે માશૂકા  અંગેના વિચારો પણ આવતા બંધ થઈ જવાની માશૂકને દહેશત છે.                            

* * *

તકલ્લુફ઼ બરતરફ઼ નજ઼્જ઼ારગી મેં ભી સહી લેકિન
વો દેખા જાએ કબ યે જ઼ુલ્મ દેખા જાએ હૈ મુઝ સે (૬)

[તકલ્લુફ઼= શિષ્ટાચાર; નજ઼્જ઼ારગી= દૃષ્ટિ, નજર]

રસદર્શન :

સરસ મજાના આ શેરમાં અર્થભાવ એવો તો સૂક્ષ્માતિસૂક્ષ્મ છે કે આ રસદર્શકડાને આ શેરને એકાધિક વખત વાંચવો પડ્યો છે. પહેલા મિસરામાં ગ઼ાલિબે ભલે તેના શાયરાના અંદાઝમાં ભારેખમ શબ્દો પ્રયોજ્યા હોય, પણ તેનો સીધો સાદો મતલબ તો એ જ થાય છે કે કોઈ સુંદરતમ વસ્તુને ટીકીટીકીને જોવામાં કે તેનું  સૌંદર્યપાન કરવામાં કોઈ શિષ્ટાચારભંગ થતો તો ન જ ગણાય. બીજા શબ્દોમાં આ જ વાતને એમ પણ કહી શકાય કે એકી નજરે એવા કોઈ સૌંદર્યને નિરખવું દુરસ્ત જ ગણાય. અહીં સુંદરતમ બાબતો બે પ્રકારની હોઈ શકે; એક, કાં તો એ કોઈ કુદરતી દૃશ્ય કે પદાર્થ હોય અને બે, કોઈ જીવંત વ્યક્તિ હોય. હવે જીવંત કોઈ વ્યક્તિ અર્થાત્ અહીં માશૂકાને એમ એકીટશે જોયા કરવું એ સહી છે એવું આ પહેલા મિસરામાં કહેવાતું હોવા છતાં ‘લેકિન’ શબ્દ થકી બીજા મિસરામાં એ વિધાનને એ રીતે પૂરું કરવામાં આવે છે કે ‘પરંતુ  એ રીતે માશૂકાને વેધક નજરે  જોયા કરવું એ ક્યારેક તો તેના ઉપરનો એક  જુલ્મ જ સાબિત થઈ જાય !’ મેં અહીં મારા પક્ષે ‘તકલ્લુફ઼ બરતરફ઼’નો અર્થ ‘શિષ્ટાચાર ભંગ ન થવો’ એમ લીધો છે, પરંતુ મીમાંસકોના  એક મત   મુજબ તેનો અર્થ ‘શિષ્ટાચારને બાજુએ મૂકવો’ અને બીજા એક મત મુજબ ‘સાચું કહેતાં’ એવો અર્થ વ્યક્ત  થયો છે. પહેલો મત શાબ્દિક ફેરફાર સાથે મારા મતની નજીક હોઈ તેને ગ્રાહ્ય રાખી શકાય, પરંતુ બીજા  મતને અસ્વીકાર્ય જ ગણવો પડે કેમ કે મિસરાના પાછળના શબ્દો સાથે તેને જોડતાં સુગ્રાહ્ય અર્થ મળતો નથી.                                                                                              

(ક્રમશ:)

– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)      

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)                                                                                            

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા 

(૫) Courtesy : https://rekhta.org  

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ 

* * *

 

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.