ગ઼ાલિબના કેટલાક શેર એવા હોય છે કે જે ભાવકના હૃદયમાં ગલગલિયાં કરાવ્યા સિવાય રહે નહિ. અહીં માશૂકા તરફથી પ્રેમપત્ર લઈને આવેલો કાસદ માશૂકને પત્ર આપી દીધા પછી તેમના ચહેરાને ઘડીભર જોઈ રહે છે અને માશૂકના દિલમાં એવો સંશય જાગે છે કે માશૂકાએ પત્રમાં તો તેના દિલની વાતને લખી હશે જ, પરંતુ તે ઉપરાંત તેણીએ કોઈક મૌખિક સંદેશો પણ કદાચ મોકલ્યો હોઈ શકે છે. અનન્વય અલંકરમાં કહી શકાય કે ગ઼ાલિબ તો ગ઼ાલિબ છે, કેમ કે તે ચહેરા ઉપરના સૂક્ષ્મ ભાવોને વાંચી શકે છે. કોઈપણ વ્યક્તિના મનોભાવોને સમજી લેવાની શાયરની કાબેલિયત જ તેને મોટા ગજાનો શાયર બનાવી શકે છે. ગ઼ાલિબ તેના ઘણા બધા શેરમાં કાસદને અવશ્ય લાવે છે અને એ કાસદના ચરિત્રચિત્રણને પણ ભિન્ન ભિન્ન સ્વરૂપે આપણા સામે રજૂ કરતો રહેતો હોય છે.
થોડોક સંકુલ ગણી શકાય તેવો આ શેર અર્થભાવો પ્રગટ થતાં સુગ્રાહ્ય બની શકે છે. જ્યોતિષશાસ્ત્ર માને છે કે માનવજીવન ઉપર ગ્રહો કે સિતારાઓનો પ્રભાવ પડતો હોય છે. માનવજીવન દુ:ખમય કે સુખમય બને કે પછી આવરદા વધે કે ઘટે તે ગ્રહો ઉપર આધારિત હોય છે તેવું જ્યોતિષીઓ માનતા હોય છે. અહીં પહેલા મિસરામાં પ્રયોજાયેલો શબ્દ ‘એમાર’ એ ‘ઉમ્ર’નું બહુવચન રૂપ છે, જેનો મતલબ થાય છે ‘જિંદગાનીઓ’. માનવીઓની જિંદગીઓ લાંબી કે ટૂંકી ગ્રહોના પ્રભાવના કારણે થતી હોય છે. જિંદગીઓ ટુંકાઈ જવી અર્થાત્ શેરમાંના ‘કાતા’ શબ્દપ્રયોગ સબબે સમજતાં ‘જિંદગીઓનો ખાતમો બોલાઈ જવો’ એ ગ્રહો ઉપર આધારિત હોવાનું અહીં માનવામાં આવ્યું છે. પરંતુ બીજા સાની મિસરામાં ગ઼ાલિબ કહે છે કે માનવજીવન વધઘટ હોવા માટે ગ્રહોની કાયમી અસર હોવા ઉપરાંત ઘણીવાર અણધારી આસમાની કે દૈવી આફત આવી પડતી હોય છે અને તે માનવજીવનને હણી નાખતી હોય છે. આમ અહીં માનવજીવનને પ્રભાવિત કરનારી આ આસમાની આફત વળી ‘કંઈક ઔર’ છે અર્થાત્ વધારાની છે.
હો ચુકીં ‘ગ઼ાલિબ’ બલાએઁ સબ તમામ એક મર્ગ-એ-ના-ગહાની ઔર હૈ (૬)
[મર્ગ-એ-ના-ગહાની= ઓચિંતું મોત; અકાળ મોત]
ગ઼ઝલનો આ આખરી મક્તા શેર છે, જેમાં ગ઼ઝલકારનું નામ વણી લેવામાં આવતું હોય છે. ગ઼ાલિબ કહે છે કે માનવીના જીવનમાં નાનીમોટી ઘણી બલાઓ એટલે કે આફતો આવતી જતી હોય છે. વળી આ બધી આફતો ટળી જાય અને થોડોક હાશકારો અનુભવીએ ત્યાં તો વળી અકાળ મૃત્યુની એક મોટી આફત આવી જતી હોય છે અને માનવીની જીવનલીલા સમાપ્ત થઈ જતી હોય છે. આમ ઓચિંતું આવી પડતું મોત એ મોટી આફત બની રહે છે અને ત્યારે એકી ઝાટકે સુખો અને દુ:ખોનો અંત આવી જતો હોય છે. આમ મોત એ શારીરિક બીમારીઓ કે માનસિક સંતાપોને દૂર કરવા માટેનો રામબાણ ઈલાજ બની રહે છે.
(સંપૂર્ણ)
* * *
– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)
– વલીભાઈમુસા(રસદર્શનકાર)
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
આ એક ટૂંકી, પણ સરસ મજાની ગ઼ઝલ છે. આ શેરમાં રસપ્રદ મુદ્દો ગ઼ઝલના રદીફ ‘ઔર હૈ’માં સમાવિષ્ટ છે. બોલચાલની ભાષામાં અધિક વપરાતા આ શબ્દના પાતળી ભેદરેખા ધરાવતા અર્થ ‘વધારે’,‘બીજું’ ઉપરાંત ‘જુદું જ’ કે ‘અન્ય કંઈક’ એવા અર્થ પણ મળે છે. ગ઼ાલિબ આ ‘ઔર’ શબ્દને ગ઼ઝલના દરેક શેરમાં એવી રીતે રમાડે છે કે આપણને આખીય ગ઼ઝલમાં અનન્ય લુત્ફ માણવા મળે છે. સાવ સરળ લાગતા આ શેરમાં ગ઼ાલિબે ઠાંસી ઠાંસીને અર્થભાવ ભર્યો છે. માનવજીવન સરળ નહિ, પણ સંકુલ છે. કોઈ વખતે માનવજીવન કંઈક ઔર હોય, પણ આપણે આપણા મનમાં તો કોઈ જુદો જ નિશ્ચય કે વિચાર કરી બેઠેલા હોઈએ છીએ કે આપણું જીવન તો કંઈક આવું જ હોવું જોઈએ. કહેવાય પણ છે ને કે જીવનના બધા દિવસો એક સરખા હોતા નથી, અર્થાત્ માનવી પોતાની પસંદગી મુજબનું જીવન જીવી શકે એવું હંમેશાં બનતું નથી હોતું. આ શેર પરલક્ષી છે, કેમ કે ગ઼ાલિબ પોતાના જ જીવનની વાત નથી કરતા; પરંતુ સૌ કોઈના જીવન વિષેની વાત જણાવે છે જે આપણને ‘અપને’ શબ્દથી સમજાય છે. અહીં એક બાબત નોંધનીય છે કે આ પ્રથમ શેર તો માનવજીવનને જ સ્પર્શે છે, પણ આગામી શેરમાં સંભવ છે કે આ આખીય ગ઼ઝલ કદાચને માશૂકાને અનુલક્ષીને પણ લખાઈ હોય!
આતિશ-એ-દોજ઼ખ઼ મેં યે ગર્મી કહાઁ સોજ઼-એ-ગ઼મ-હા-એ-નિહાની ઔર હૈ (૨)
ધર્મશાસ્ત્રોમાં મૃત્યુ પછીના જીવનની કલ્પના કરવામાં આવી છે. મૃત્યુ પછી પુણ્યશાળી જીવોને સ્વર્ગ કે જન્નત મળે છે અને પાપી જીવોને નર્ક કે દોઝખની યાતના વેઠવી પડતી હોય છે. જન્નતનું સુખ કે દોઝખનો ત્રાસ શાશ્વત હોય છે. આટલું સમજી લીધા પછી આપણે શેર ઉપર આવીએ. દોઝખની ભડભડતી આગમાં અસહ્ય ગરમી હોય છે, પરંતુ ગ઼ાલિબ શેરના પ્રથમ ઉલા મિસરામાં એ ગરમીને અલ્પોક્તિમાં ‘કહાઁ’ શબ્દ થકી ઓછી ગણાવે છે. દોઝખની આગ કરતાં પણ વધારે દાહક તો છૂપાં દર્દોની બળતરા કે વેદના હોય છે. અહીં છૂપાં દર્દોનો અર્થ એમ લેવાનો છે કે એ દર્દો સહી પણ ન શકાય અને કોઈને કહી પણ ન શકાય. પહેલા શેરમાં મેં છેલ્લે ઈશારો કર્યો હતો કે આખી ગ઼ઝલ કદાચ ને માશૂકાને અનુલક્ષીને પણ હોય! અહીં પ્રત્યક્ષ રીતે માશૂકાનો કોઈ ઉલ્લેખ તો નથી, પણ છૂપા દર્દ તરીકે માશૂકાના વિરહને સમજી શકાય છે. આમ વિરહના દુ:ખની બળતરા એવી તો જલદ છે કે પેલી દોઝખની આગ તો કોઈ વિસાતમાં ન ગણાય. અહીં વ્યતિરેક અલંકાર બને છે, જ્યાં છૂપાં દર્દો (ઉપમેય)ને દોઝખની આગ (ઉપમાન) કરતાં ચડિયાતાં ગણાવ્યાં છે. અહીં રદીફમાંના ‘ઔર’નો ‘વધારે’ એવો અર્થ લેવાનો છે.
બાર-હા દેખી હૈં ઉન કી રંજિશેં પર કુછ અબ કે સરગિરાની ઔર હૈ (૩)
ગ઼ઝલના આ ત્રીજા શેરમાં માશૂકાનો જિક્ર સ્પષ્ટ રૂપે જાણવા મળે છે. વળી માશૂક અને માશૂકાનાં દિલ (હૃદય) ભલે ભિન્ન હોય, પણ ધડકન તો એક સમાન જ હોવાની; અને તેથી જ તો ઉભય એકબીજાના હર્ષ કે ગમગીનીને શબ્દોના સહારા વગર અનુભવી શકતાં હોય છે. અહીં માશૂકની માશૂકાનો મિજાજ પારખવાની શક્તિ કાબિલે દાદ છે અને તેથી જ તો માશૂક કહે છે કે મેં તેની ઉદાસીને તો અનેકવાર જોઈ છે, પણ આજે તો એ ઉદાસી કંઈક ઔર જ છે. બંને મિસરામાં વાત તો થાય છે માશૂકાની ઉદાસીની જ, પણ તેની માત્રામાં ભિન્નતા છે. દરરોજ માશૂકાના ચહેરા ઉપર જોવામાં આવતી ઉદાસી તો સામાન્ય પ્રકારની રહેતી, પણ હાલ તો કંઈક વિશેષ માત્રામાં હોવાનું જણાઈ આવે છે.
ક્રમશ: ૨
મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)
– વલીભાઈમુસા (રસદર્શનકાર)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
ગ઼ાલિબનો આ એક તલ્મીહ શબ્દયુક્ત શેર છે. જેમાં કોઈ ઐતિહાસિક કે પૌરાણિક વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તે શબ્દને તલ્મીહ કહે છે. આ શેરમાં ‘હમઝા’ તલ્મીહ શબ્દ છે. આવા શબ્દ વિષેની જાણકારી મેળવવામાં ન આવે ત્યાં સુધી એવો શેર સારી રીતે સમજાય નહિ. હમઝા હજરત મહંમદ (સ.અ.વ.)ના કાકા હતા અને તેઓ અમીર હમઝા તરીકે પણ ઓળખાતા હતા. તેઓ હજરત મહંમદ સાહેબને વિરોધીઓ સામે સાથ આપ્યો હતો. એક સ્વબચાવ માટેના યુદ્ધમાં તેઓ માર્યા ગયા હતા. વિરોધીઓના પક્ષની એક ઔરતે અમીર હમઝાના મૃતદેહને ચીરીને તેમનું કલેજું ચાવ્યું હતું અને આંતરડાંઓનો હાર બનાવીને પહેર્યો હતો. અગાઉના કોઈક યુદ્ધમાં અમીર હમઝાના હાથે પેલી ઔરતના ભાઈ અને પિતા માર્યા ગયા હતા તેના વેરની વસુલાત રૂપે તેણીએ ઉપરોક્ત હિચકારું કૃત્ય કર્યું હતું.
બીજું કે શેરના પ્રથમ મિસરામાં સાહિત્યના અતિશયોક્તિ અલંકારમાં વર્ણવાતી એક રૂઢિગત વાત એમ છે કે કોઈ પ્રેમીને પોતાનો પ્રેમ પામતાં જે કંઈ યાતનાઓ કે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય તેની દાસ્તાન રજૂ કરનાર કે સાંભળનારને એટલું બધું દર્દ આપતી હોય છે કે જાણે કે તેમના શરીરના બાલના છેડેથી લોહી ટપકવા માંડે! શરીરશાસ્ત્ર પ્રમાણે શરીર ઉપરના બાલ તેમનાં મૂળ થકી લોહીનું પોષણ તો જરૂર મેળવે, પણ શરીરની લોહીની નસોની જેમ બાલમાં લોહીનું વહન તો ન જ થાય. પરંતુ અહીં સાહિત્યિક પરિપ્રેક્ષ્યમાં સમજવું પડે કે બાલના છેડાઓમાંથી લોહી ટપકે છે.
આટલું સમજી લીધા પછી આપણે શેર ઉપર આવીએ. અહીં માશૂકને તેની માશૂકાનો પ્રેમ મેળવવામાં જે કંઈ કષ્ટ વેઠ્યું પડ્યું હતું તેનું બયાન કરતાં માથા અને શરીર ઉપરના બાલોમાંથી લોહી ટપકવા માંડે તેવી તે દર્દનાક હકીકત હોવા છતાં શ્રોતાઓ ઉપર તેની કોઈ અસર ન થાય તે માશૂકના મતે દુ:ખદ બાબત છે. મહેફિલમાં એકત્ર થયેલા માણસો ઉપર માશૂકની કરુણ કથનીનીની ધારી અસર થવી જોઈતી હતી અને માશૂકના ઈશ્ક અંગેની પૂછપરછ કે ચર્ચાઓ પણ થવી જોઈતી હતી. પરંતુ અફસોસ કે હમઝાના કિસ્સાને તો લોકોએ યાદ કર્યો, પણ માશૂકના ઈશ્કની દર્દભરી યાતનાઓ પરત્વે તો સૌ કોઈએ મૌન જ સેવ્યું. અહીં વ્યતિરેક અલંકાર બને છે જેમાં માશૂકના ઈશ્કની વેદનાઓને અમીર હમઝા સાથે થયેલા દુર્વ્યવહાર કરતાં ચડિયાતી બતાવાઈ છે. અહીં માશૂકનું માનવું છે કે અમીર હમઝાને તો શારીરિક યાતનાઓ વેઠવી પડી હતી અને તેમના માર્યા જવા સાથે જ એ યાતનાઓનો અંત આવી ગયો હતો. પરંતુ માશૂકને તો તેમના ઈશ્ક સબબે જે કોઈ મનોયાતનાઓ વેઠવી પડી છે તે તો પોતે જીવિત હોઈ જીવનભર દુ:ખ આપ્યા કરશે. આમ આ શેર મુજબ માશૂકના ઈશ્કની દાસ્તાન હમઝાના કિસ્સા કરતાં વધુ હૃદયદ્રાવક ગણાવી જોઈએ તેવું માશૂકને મન અપેક્ષિત છે.
[દજલા (Dijla)= નદી [દજલા એ ટાઈગ્રીસ (Tigris) નદીનું અન્ય ઓળખ નામ છે, જેને અહીં સામાન્ય અર્થમાં નદી માટે પ્રયોજવામાં આવેલ છે.]; જુજ઼્વ= કણ; કુલ= સંપૂર્ણ; દીદા-એ-બીના= નજરે ચઢવું, આંખે દેખાવું]
રસદર્શન :
આ શેરને ચર્ચાની એરણે લેતાં પહેલાં આપણે સૌ આપણા માધ્યમિક શિક્ષણને યાદ કરીએ તો ભૂમિતિમાં કેટલાક પ્રમેયો કોઈક પૂર્વધારણા મૂકીને સિદ્ધ કરવા માટે આગળ વધતા હતા અને છેવટે ખંડ = સમગ્ર એવું સમીકરણ આવતું હતું. ત્યાર પછી આપણે દલીલ આપતા હતા કે ખંડ સમગ્રની બરાબર થઈ શકે નહિ, માટે ‘આપણી ધારણા ખોટી છે’ એમ લખીને પ્રમેય પૂરો કરતા હતા. ગ઼ાલિબ આ શેરમાં ખંડ અને સમગ્રની વાત તો કરે છે, પણ તેનો નજરિયો કંઈક જુદો જ છે. અગાઉ ઉલ્લેખાયું તે મેથેમેટિક્સ હતું, તો અહીં સાહિત્ય છે. અહીં ગ઼ાલિબ પાણીના ટીપામાં નદી અને કણમાં સંપૂર્ણતાને સમજવાની વાત કરે છે. વળી આપણે વિજ્ઞાન ઉપર આવીએ તો નદીના પાણી અને પાણીના બિંદુનું બંધારણ તો એક સમાન H2O જ છે; પણ ટીપું એ ખંડ છે, જ્યારે નદી સમગ્ર છે. આમ ખંડ સમગ્રની બરાબર થઈ શકે નહિ.
પરંતુ ગ઼ાલિબ જુદા દૃષ્ટિકોણથી વિચારતાં કહે છે કે પાણીના બિંદુ અને સિંધુ જથ્થાની રીતે ભલે ભિન્ન લાગે, પણ તાત્ત્વિક રીતે જોતાં એ સમાન જ છે. આમ નાના કે મોટા પદાર્થોની જેમ નાની કે મોટી વ્યક્તિઓને પણ સમાન ગણવાં જોઈએ. આ માટે ગ઼ાલિબ પહેલા મિસરામાં કતરા (ટીપું) અને દજલા (નદી) તથા જુજ્વ (કણ) અને કુલ (સંપૂર્ણ)નાં દૃષ્ટાંતો આપીને બીજા મિસરામાં વ્યંગમાં કહે છે કે જો જોનારની આવી દૂરગામી અને વિશાળ દૃષ્ટિ ન હોય તો પછી એ તો નાનાં છોકરાંના ખેલ જેવું સાબિત થશે, નહિ કે આંખથી સ્પષ્ટ પરખાય તેવું હકીકતી! નાનાં છોકરાંમાં તેમની અપરિપક્વતાના કારણે તેમની રમતોમાં કે તેમના દૃષ્ટિકોણમાં વાસ્તવિકતાઓ, ગંભીરતાઓ અને ઊંડાણનો અભાવ હોય છે તેથી તેમનામાં મોટેરાંઓ જેવી સમજની અપેક્ષા રાખવી વ્યર્થ છે. આમ ગ઼ાલિબ પરોક્ષ રીતે વિશાળ દૃષ્ટિ ન ધરાવતાં મોટેરાંને નાનાં છોકરાં જેવાં ગણાવે છે. ગુજરાતી ભક્તકવિ નરસિંહ મહેતા પણ પોતાના એક પદમાં ઈશ્વરના સર્વવ્યાપીપણાને સમજાવતાં કહે છે, ‘વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું’. આમ ગ઼ાલિબ બીજમાં વૃક્ષ જોવાની જેમ જ બિંદુમાં સિંધુ અને કણમાં મણ જોવાની વાત ચર્ચે છે.
ગ઼ઝલનો આ મક્તા શેર છે, જે રમૂજી પણ છે અને તેમાં રહેલા વ્યંગની વિચારણા માગી લે તેવો પણ છે. વળી અહીં ગ઼ાલિબ બેવડી ભૂમિકા (Double Role) ભજવતા લાગે છે, પણ તે ચાલાકી પૂર્વક ધારેલો તમાશો ન થયો હોવાનું જણાવીને ડુપ્લીકેટ (!) ગ઼ાલિબની ઉપસ્થિતિને દર્શાવવાનું ટાળે પણ છે. ગ઼ાલિબ કહે છે એવી સનસનીખેજ ખબર હતી કે આજે ચોરાહા ઉપર જાહેરમાં અને લોકોની ઉપસ્થિતિમાં તેમનો ઉધડો લેવાવાનો છે. (શરીરના પુર્જા-અવયવો ઊડવા એ રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ થાય છે કોઈનો જાહેરમાં ઉધડો લેવાવો.). હવે બીજા મિસરામાં ગ઼ાલિબ જાણે કે મલકતા મુખે કહેતા હોય તેમ જણાવે છે કે ‘અમે પણ તે તમાશો જોવા ગયા હતા, પણ તમાશો થયો જ નહિ!’
આ શેરના ઉપરોક્ત અર્થઘટનથી શેર તમામ થતો નથી, કેમ કે અહીં ‘ગ઼ાલિબનો શા માટે ઉધડો લેવાવાનો છે તે અધ્યાહાર છે. ભાવકે કલ્પના કરવાની રહે છે કે ગ઼ાલિબ એવા કયા ગુનામાં સપડાયા હશે અથવા તેમની શી ભૂલ થઈ હશે કે જેના કારણે જાહેરમાં તેમની ઈજ્જતના ધજાગરા ઊડવાના છે. આમાં ગ઼ાલિબને જાહેરમાં બદનામ કરવાનો મલિન ઈરાદો ધરાવતા ઈસમો કે ઈસમ ત્રણ પ્રકારના હોઈ શકે. (૧) ગ઼ાલિબના હરીફ શાયરો (૨) ગ઼ાલિબની માશૂકા (૩) લેણદારો. આ ત્રણેય પ્રકારના સંભવિત ઈસમોનાં ગ઼ાલિબને બદનામ કરવાનાં કારણો જુદાં જુદાં હોઈ શકે, પણ આપણે તેમાં ઊંડા ઊતરવાની જરૂર નથી. અહીં શાયરની કલ્પનામાં મઢાયેલો આ શેર છે અને શાયરના કહેવાના અંદાજમાં રહેલી વિશિષ્ઠતાને જ આપણે સમજવાની છે અને માણવાની છે.
(સંપૂર્ણ)
– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)
– વલીભાઈમુસા(રસદર્શનકાર)
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
ગ઼ાલિબની કલ્પનાઓ અને તેનાં અવલોકનો એટલાં બધાં બારીક છે કે ઘણી વાર આપણી સમજમાં ન પણ આવે! જેના માટે બબ્બે વખત ‘જરા હટકે’ કહેવું પડે તેવો ઉચ્ચ કોટિનો આ શેર છે. વળી આ શેરને સમજવા અને માણવા માટે તેમાંથી આકાર લેતા એવા એક શબ્દચિત્રને પણ આપણાં કલ્પનાચક્ષુ વડે નિહાળવું પડશે. શેરના પ્રથમ ઉલા મિસરામાં આપણને માશૂકની બીમાર માશૂકા તેની સુખશય્યા ઉપર ઢળી પડેલી અને છતાંય મદહોશશી દેખાતી આંખો સાથે સૂતેલી દેખાશે. હવે માશૂક ‘કમ નહિ’ શબ્દોના પ્રયોગ થકી એ આંખોને વખાણે છે; કેમ કે તેવી આંખોમાં પણ માશૂકને અનન્ય પ્રકારનું એક એવું સૌંદર્ય દેખાય છે, કે તે ટીકી ટીકીને જોઈ રહે તો પણ તેને પરિતૃપ્તિ થાય નહિ.
હવે બીજા સાની મિસરાના પઠન થકી ધીરગંભીર ઈસમ પણ હસ્યા વગર રહી શકે નહિ. અહીં માશૂક માશૂકાને બેહદ ચાહતો હોઈ તેની અપેક્ષા તો એ જ હોઈ શકે કે માશૂકા બીમારીમાંથી બેઠી થઈ જાય; પરંતુ માશૂકની મનેચ્છા તો કંઈક જુદી જ છે. માશૂકનું માનવું છે કે માશૂકા સાજીનરવી થઈ જાય તે બહેતર તો છે જ, કિંતુ તેમ ન થાય તો માશૂકા બીમાર હાલતમાં જ રહે તેમાં શું ખોટું છે! બીમારીના કારણે માશૂકાની પોપચાં ઢળી જવાના કારણે ઝીણી થઈ ગયેલી મદહોશ આંખોમાં પણ એક નજાકત છે અને એ નજાકતને માણવા માટે માશૂક માશૂકાની એ જ સ્થિતિ જળવાઈ રહે તેવી અપેક્ષા સેવે છે. અહીં આપણે માશૂકને ક્રૂરતાની શ્રેણીમાં ન મૂકી શકીએ. તે માશૂકા સાજી જ ન થાય, તેની બીમારી લંબાય અને તેને તેણીની ઢળી પડેલી આંખોનું સૌંદર્ય માણવા મળતું જ રહે તેવી નિમ્ન કક્ષાની માનસિકતા તો તે ન જ ધરાવી શકે; કેમ કે તે પોતાની માશૂકાને સાચા દિલથી ચાહે છે. પરંતુ એક વિકલ્પ તરીકે પોતે વિચારે છે કે જો તેણી સાજી ન જ થઈ શકવાની હોય અથવા તેણીની બીમારી લંબાઈ શકે છે તેવો તબીબોનો મત હોય તો જ તે માને છે કે તેની હાલની માંદગી શું ખોટી છે! આ મિસરામાંના ‘બીમાર’ શબ્દનો અર્થ ‘માંદી વ્યક્તિ’ નહિ, પણ ‘માંદગી’ એમ લેવાનો છે.
ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે કે ‘શેરના માથે સવાશેર’, જેમાં ‘શેર’ એ વજન માટેનો જૂનો એકમ છે. અહીં ગ઼ઝલના સંદર્ભે ‘શેર’ સમજતાં અગાઉના શેર કરતાં આ શેર સવાયો છે. ગ઼ાલિબની મોટા ભાગની ગ઼ઝલોમાં માશૂકાનો માશૂક સાથેનો અણબનાવ અને તેના પરિણામે માશૂકને માશૂકા તરફથી સહેવી પડતી સતત અવહેલના વર્ણવાતી હોય છે. માશૂકાના વિયોગના કારણે માશૂકનું દિલ એવું તો ઘવાય છે કે તેમાં ઊંડા ઘાવ પડી ગયા છે, જેના કારણે પોતાની વેદનાની ફરિયાદ તેમના હોઠ સુધી પહોંચી શકતી નથી અને મનમાં અને મનમાં ઘોળાયા કરે છે અને અંતે શમી જાય છે. હવે પહેલા મિસરાની આ વાતને વજન આપવા માટે બીજો મિસરો લખાયો હોવો સમજી શકાય છે.
બીજા મિસરામાં દરિયા કહેતાં નદી પહાડનાં નાનાં નાનાં ઝરણાં થકી સર્જાય છે અને ઝરણું પાણીના એક એક બુંદ થકી અસ્તિત્વ પામે છે. પરંતું એ પાણીનું પ્રત્યેક ટીપું નદીના સર્જન માટે સહાયરૂપ બની શકતું નથી. આવાં કોઈક ટીપાં પહાડમાંની ખાક અર્થાત્ માટીમાં શોષાઈ જાય છે. હવે શાયરના અંદાઝમાં ગ઼ાલિબે આ વાતને એવી રીતે દર્શાવી છે કે આપણે આફરિન આફરિન પોકારી બેસીએ. ગ઼ાલિબ કહે છે કે એવાં નદીમાં ભળવા માટે કમભાગી સાબિત થયેલાં એ ટીપાં માટીનો ખોરાક બની જાય છે. અહીં સજીવારોપણ અલંકાર પ્રયોજાયો છે, જેમાં પેલી માટીને પાણીના કતરા (ટીપું)ને તેના રિજ઼્ક઼ (રોજી-આહાર) તરીકે આરોગતી કલ્પી છે. અહીં ઈસ્લામની પાક કુરઆનની સુરએ ‘હુદ’ની એક આયત યાદ આવી જાય છે કે જેમાં અલ્લાહ ફરમાવે છે કે ‘અને પૃથ્વી પર કોઈ એવું પ્રાણી નથી કે જેની રોજી અલ્લાહના શિરે ન હોય!’ આ આયત ભલે સૃષ્ટિના ચેતન જીવોને લાગુ પડતી હોય, પણ ઈશ્વર-અલ્લાહની નજરમાં જડ કે ચેતનના કોઈ ભેદ નથી. સમુદ્ર, પહાડ, વૃક્ષ કે એવાં કોઈ સર્જનહારનાં સર્જાયેલાં અચેતન સર્જનો પણ તેમના અસ્તિત્વને જાળવી રાખવા માટે કશાક ઉપર આધાર રાખતાં હોય છે, જેમને તેમના રિઝક તરીકે ગણી શકાય અને આમ સર્જનહાર તેમને પણ જીવંત રાખવા માટે જરૂરી પુરવઠો પહોંચાડતો રહેતો હોય છે.
ગ઼ઝલનો આ શેર આત્મલક્ષી છે. ગ઼ાલિબના જીવનને જાણનારાઓને ખબર છે કે તેમનું જીવન બેસુમાર દુ:ખો અને અલ્પ સુખોથી ભરેલું હતું. તેમની આર્થિક બેહાલી અને કેટલાક ગણ્યા ગાંઠ્યા સમકાલીન શાયરો તરફથી સહેવી પડતી ઈર્ષાઓના કારણે તેઓ દુ:ખી દુ:ખી હતા. તેમના દિલનો આ ઉભરો આ શેરના પ્રથમ મિસરામાં વ્યક્ત થાય છે. ગ઼ાલિબ કહે છે કે મારા ઉપર હકીકતી જે દુ:ખો પડ્યાં છે તેવાં નામ પૂરતાં પણ કોઈને દુ:ખો પડ્યાં નહિ હોય! વળી તેમની મૌલિક શાયરીઓ સામે પણ સવાલ ઉઠાવનારાઓએ તેમની ફિત્નાખોરી થકી તેમને બદનામ કરવાના લાખ પ્રયત્નો કર્યા હોવા છતાં તેઓ તેમના ઈરાદાઓમાં સફળ થઈ શક્યા ન હતા. આ શેરના બંને મિસરામાં બે ભિન્ન ભિન્ન ભાવ રજૂ થયા છે. પહેલા મિસરામાં હૃદયનો બળાપો અભિવ્યક્ત થયો છે, તો બીજા મિસરામાં આત્મસંતોષ એ વાતનો છે કે દુશ્મનોના હાથ હેઠા પડ્યા છે.
(ક્રમશ:૩)
– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)
– વલીભાઈમુસા(રસદર્શનકાર)
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
આ શેરમાંથી ગ઼ાલિબનો રમતિયાળ મિજાજ પ્રગટ થાય છે અને તેમાંથી સરસ મજાની રમૂજ પણ માણી શકાય છે. માણસ ઘણીવાર એવી હરકત કરી બેસે કે સામેવાળો તેના ઉપર ખૂબ જ ક્રોધિત થઈ જાય. અહીં ગ઼ાલિબ કહે છે મારા જેવો કોઈના ગુસ્સ્સાનો ભોગ બને તેવી ચેષ્ટા કરનારો કોઈ થયો જ ન હોય તો પછી મારે મારા વિષે એમ કહેવું કે મારા જેવો કોઈ પેદા થયો જ નથી તો તેમાં ખોટું શું છે! આ શેર કંઈ અમસ્તો લખાયો નહિ હોય, કેમ કે તેની પાછળ તેનો કોઈ અનુભવ હોવો જોઈએ. ગ઼ાલિબ અલ્લડ મિજાજના હતા અને ઘણીવાર મિત્રો સાથે, પોતાનાં બેગમ સાથે કે એવા કોઈ અન્યો સાથે એવું વર્તન કરી બેસતા કે જેથી જે તે વ્યક્તિ તેમના ઉપર આગબબુલા થઈ જાય. સામાન્ય રીતે આપણે કોઈની મજાક મશ્કરી કરતા હોઈએ ત્યારે તેના ગુસ્સાનો ભોગ બનવાની આપણી માનસિક તૈયારી હોવી જોઈએ અને તેના ગુસ્સાને હળવાશમાં લઈ લેવો જોઈએ. ગ઼ાલિબ આ શેરના બીજા મિસરામાં પેલા ગુસ્સો કરનારાઓને એવો રમૂજી જવાબ આપે છે કે એ લોકો હસી પડે અને તેમની વચ્ચે કોઈ કડવાહટ પેદા થતી નથી. અહીં બીજા મિસરાના ગ઼ાલિબના કથનથી આપણા ભાવકોમાં કોઈ ગેરસમજ પેદા ન થવી જોઈએ કે તેણે કોઈ ઘમંડની ભાવનાથી તેમ કહ્યું હોય કે ‘તેના જેવો કોઈ પેદા થયો નથી!’
ગ઼ઝલના આ શેરમાં પણ ગ઼ાલિબના અલ્લડ મિજાજનાં દર્શન થાય છે. પ્રથમ શેરમાં દુન્યવી કોઈ માણસો સાથેનો ગ઼ાલિબનો અલ્લડ મિજાજ સમજાય છે, પણ અહીં આ શેરમાં તો તે ઈશ્વર-અલ્લાહની બંદગી કે ભક્તિમાં પણ તે પોતાનું અલ્લડપણું બતાવે છે. ઈશ્વર-અલ્લાહના પ્યારા ભક્તો કે બંદાઓ ઘણીવાર એ સર્જનહાર સાથે પણ લડાયક મિજાજમાં ગુફ્તગૂ કરતા હોય છે. સુફી સંતો, જલાલી ફકીરો કે હઠધર્મી સાધુઓનો આવો જ મિજાજ હોય છે. અહીં ગ઼ાલિબ અલ્લાહની બંદગી કરવામાં પણ પોતાની જાતને આઝાદ અને ખુદ્દાર સમજે છે અને તેથી જ તો તે બિન્દાસપણે કહે છે કે અલ્લાહનું ઘર સમજવામાં આવતા કાબાના દરવાજા ખુલ્લા ન હોય તો પોતે વળતા પગલે પાછા ફરી જાય! કોઈ સામાન્ય બંદો હોય તો કાબાના દરવાજા ખૂલવાની રાહ જુએ, પણ અહીં ગ઼ાલિબનો મિજાજ તો તેમને એમ કરવાની ના ફરમાવે છે. પહેલા અને બીજા શેરમાં ગ઼ાલિબનો બેપરવાહ સ્વભાવ જાણવા મળતો હોવા છતાં આપણને એ તો સમજાય છે કે તેના જે તે વર્તનમાં કોઈ મિથ્યાભિમાન કે અહંકાર નહિ, પણ નિખાલસતા છે.
[મક઼્બૂલ= કબૂલ, સ્વીકાર્ય; યકતાઈ= એકલા જ હોવાપણું, અદ્વિતીયતા; બુત-એ-આઇના-સીમા= ચાંદી જેવા ચમકદાર અરીસામાં દેખાતી મૂર્તિ]
રસદર્શન :
આ શેરને ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી એમ બેઉ રીતે સમજી શકાય છે. પહેલા મિસરામાંનો ‘તિરી’ એટલેકે ‘તારી’ શબ્દને માશૂકાને અનુલક્ષીને સમજવામાં આવે તો તે ‘ઇશ્કે મિજાજી’ શેર બની રહે અને એ જ શબ્દ ઈશ્વર માટે પ્રયોજાયેલો સમજવામાં આવે તો તે ‘ઇશ્કે હકીકી’ બને. વળી અહીં ‘યક્તાઈ’ શબ્દ પણ મહત્ત્વ ધરાવે છે, જેનો અર્થ ‘અજોડપણું’ અર્થાત્ ‘જેની બરાબરીમાં કોઈ ન આવે તેવું’ એમ છે. હવે આપણે પહેલા મિસરાને સમજીએ તો તેમાં કહેવાય છે કે ‘તારો અદ્વિતીયતાનો દાવો સૌ કોઈને કબૂલ-મંજૂર છે.’ હવે માશૂકા પોતે અદ્વિતીય હોવાનો દાવો કરતી હોય તો સમજાય છે તે પોતાના સૌંદર્ય વિષે જ એમ કહે છે. તેના આ દાવાને આંશિક રીતે એમ ખોટો પાડી શકાય કે અરીસામાં તો તારા જ જેવી અન્ય દેખાય છે તો તારો અદ્વિતીય હોવાનો દાવો ખોટો સાબિત થાય છે. પરંતુ આ દલીલનું ખંડન એ રીતે થઈ શકે અરીસામાં દેખાય છે તે તો તેનું પ્રતિબિંબ છે, જે આભાસી છે. આમ માશૂકાનો તે એકલી જ સૌંદર્યવાન હોવાનો દાવો યથાર્થ ઠરે છે.
હવે આ જ શેરને ‘ઈશ્વર-અલ્લાહ’ને લાગુ પાડીએ તો નિ:શંકપણે સમજી શકાય છે તેના અદ્વિતીય હોવાના દાવાને સૌ કોઈ કબૂલ-મંજૂર રાખે જ છે. બીજા મિસરામાં ઈશ્વરના એક હોવાની માન્યતાને દૃઢિભૂત કરવા પહેલાં ‘આઇના’ શબ્દપ્રયોગને સમજવો પડશે. કેટલાંક હિંદુ મંદિરોમાં મૂર્તિની પાછળ અરીસો રાખવામાં આવતો હોય છે. ગ઼ાલિબ હિંદુ ધર્મ અને હિંદુઓની ઈશ્વરને કરવામાં આવતી પૂજા-અર્ચનાની હકીકતથી પણ માહિતગાર છે અને તેથી આ બીજા મિસરામાં એવી દલીલ આપે છે કે ચાંદી જેવા ચમકદાર અરીસામાં દેખાતી મૂર્તિ પણ પોતાનું સ્થાન તજીને કોઈને રૂબરૂ દર્શન આપતી નથી અને તે તેની જગ્યાએ એકમેવ સ્વરૂપે સ્થિર રહે છે. આમ ગ઼ાલિબ પોતાની દુન્યવી માશૂકા કે સૌ કોઈનો સર્જનહાર એવો ઈશ્વર ઉભય એકમેવ હોવાના દાવાને સ્વીકારે છે. મંદિરોમાંના અરીસાઓમાં દેખાતાં મૂર્તિઓનાં પ્રતિબિંબો કે માશૂકાનું અરીસામાં તેનું પોતાનું દેખાતું પ્રતિબિંબ એ આભાસી હોઈ ઉભયના એકત્વને નકારી શકાય નહિ. આ શેરને હજુ વધુ સ્પષ્ટ રીતે સમજવો હોય તો એક તારણ કાઢવું પડે કે અરીસામાં દેખાતું કોઈપણ પ્રતિબિંબ એ આભાસી જ હોઈ તે મૂળની બરાબરીમાં આવી શકે નહિ, આમ જે તે ‘મૂળ’ને એકમેવ ગણવું પડે. આ માટે આપણે એક ઉદાહરણ લઈએ તો રાત્રિએ આકાશમાં દેખાતા એક જ ચંદ્રનાં પાણીથી ભરેલાં પાત્રોમાં અનેક પ્રતિબિંબો દેખાશે; પણ હકીકતે તો ચંદ્ર એક જ છે, બાકીનાં બધાં તો તેનાં પ્રતિબિંબો છે.
– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)
– વલીભાઈમુસા(રસદર્શનકાર)
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
[…] એવી મારી એક વાર્તા ‘The Proof’ જેનો મેં ‘સાબિતી’ શીર્ષકે અનુવાદ પણ આપ્યો છે તે વાંચી […]