(311) છેલ્લો એક પાસો!
હાસ્ય ટુચકા હરીફાઈમાં એક કલાકાર સાવ નિષ્ફળ ગયો; કેમ કે તેણે ઉપરાઉપરી નીચેના ત્રણ ટુચકા કહી સંભળાવ્યા, છતાંય ઓડિયન્સમાં કોઈ એક જણ પણ હસ્યું નહિ.
(1) હું હાસ્યકલાકાર, હાસ્યકલાસ્કુટર કે હાસ્યકલાખટારો નથી; પરંતુ હાસ્યકલાસાઈકલ છું! પેટ્રોલિયમ પેદાશોના અસહ્ય ભાવવધારાને જોતાં હું જે છું તે બરાબર છું અને મને તે હોવાનો પૂર્ણ સંતોષ છે.
(2) હું મારા નોકરીના સ્થળે ચાલતો જ જાઉં છું, વળતાં સાથી કર્મચારીના સ્કુટરે લિફ્ટ લઉં છું. પેટ્રોલનો મોંઘો ભાવ પોષાતો ન હોઈ સ્કુટર ઘરે પડ્યું રાખું છું. આમ મહિનેદહાડે પાંચસોએક રૂપિયાની પેટ્રોલની બચત થવા ઉપરાંત બીજા બારસો પદરસો રૂપિયાની બચત એક બીજી રીતે પણ થાય છે. ઓફિસે ચાલતા જતી વખતે એક દિવાલ ઉપર હું પાનની પિચકારી મારતો નથી, કેમ કે હું પાન ખાતો જ નથી. આમ મહિને પાન ન ખાવાની ત્રણસોએક રૂપિયાની બચત અને દિવાલ ઉપર પિચકારી ન મારવાની રોજની પચાસ રૂપિયાની બચત આસાંનીથી થઈ જાય છે. દિવાલ ઉપર સ્પષ્ટ સૂચના લખેલી છે કે “અહીં પાન ખાઈને પિચકારી મારનાર પાસેથી પચાસ રૂપિયા દંડ લેવામાં આવશે.”
(3) અમારા ગામનો એક ખેડૂત સાંજે ખેતરેથી ઘોડા ઉપર બેસીને ઘરે પાછો ફરતો હોય છે, પણ ઘાસનો ભારો માથે ઊંચકી રાખતો હોય છે. તેને આમ કેમ એવું પૂછવામાં આવતાં તે બે કારણો આપે છે. (1) ઘોડો સવારી માટે છે, નહિ કે ભાર ઊંચકવા માટે, અને; (2) ઘાસનો ભારો મારા માથે હોય તો બિચારા ઘોડાને એટલો ભાર ઓછો લાગે!
એક એકથી ચઢી જાય તેવા ઉપરોક્ત ત્રણેય ટુચકાઓ સંભળાવ્યા છતાં ઓડિયન્સમાંથી જ્યારે કોઈ પણ ન હસ્યુ, ત્યારે હાસ્યકલાસાઈકલે આખરે છેલ્લો એક પાસો ફેંક્યો. પોતાના હાથે જ પોતાની પીઠ થાબડતાં બોલ્યો, “શાબાશ, ઓડિયન્સને ન હસવા માટે હિપ્નોટાઈઝ કરવામાં આખરે તું સો ટકા સફળ થયો ખરો!”
…. અને ઓડિયન્સ ખડખડાટ હસી પડ્યું.
-વલીભાઈ મુસા
(310) હાસ્ય હાઈકુ : 29 – હાદના દાયરેથી (25)
સંસારઘાણી,
વરવધૂ ફેરવે
લગ્નમંડપે!
હિંદુ લગ્ન પ્રસંગે અગનસાખે સાત ફેરા ફરવાના વિધિવિધાનને અનુલક્ષીને લખાએલા આ હાઈકુમાં સંસારને ઘાણીનું રૂપક આપવામાં આવ્યું છે. એક સમયે ખાદ્ય કે અખાદ્ય તેલ માટે બળદ વડે ચલાવવામાં આવતી ઘાણીમાં તેલીબિયાંને પીલવામાં આવતાં હતાં, પરંતુ આજે તો યાંત્રિક રીતે તેલ કાઢવામાં આવે છે. .
લગ્નમંડપની આ અલ્પકાલીન ઘાણી વરવધૂ બંને સાથે મળીને ફેરવે છે, એટલે તેમના આ કાર્યમાં સરળતા રહેવા ઉપરાંત સાત જ ફેરા ફરવાના હોઈ ફેરા ફરવાનું કામ જલ્દીથી આટોપાય છે. સપ્તપદીના આ ફેરા જાણે કે એક રિહર્સલ માત્ર જ છે, ખરી સંસારઘાણી ફેરવવાનું કામ તો હવે પછીથી શરૂ થનાર છે. જીવનનિર્વાહ માટે દ્રવ્યોપાર્જન કરવું, સાંસારિક અન્ય જવાબદારીઓનું વહન કરવું, પ્રજોત્પત્તિ કરવી, તેમનું પાલનપોષણ કરવું વગેરે જવાબદારીઓની ઘાણી જીવનભર ફેરવ્યા જ કરવી પડતી હોય છે.
કૃષિજગતમાં એમ કહેવાય છે કે બળદ પાસેથી ખેતીનું દરેક પ્રકારનું કામ લઈ શકાય, જેમ કે હળે જોતરવા, કૂવામાંથી પાણી ખેંચવું, ગાડે જોડવા વગેરે. આમ બળદ પાસેથી ખેતીને લગતાં સઘળાં કામની અદલાબદલી થઈ શકે અને તે દરેક કામ સક્ષમતાથી પાર પણ પાડે. પરંતુ એ જ બળદને જો ઘાણીએ જોતરવામાં આવે તો પછી તે અન્ય કશાય કામનો રહે નહિ. ઘાણીના બળદની દુનિયા સીમિત થઈ જાય છે, તે દિવસરાત ગમે તેટલો ચાલે પણ ઠામનો ઠામ જ રહેતો હોય છે. બસ, આમ જ પતિપત્ની જેવાં સંસારઘાણીએ જોતરાય અને પછી તો જીવનભર તેમણે સંસારઘાણી ફેરવ્યે જ જવી પડતી હોય છે. દાંપત્યજીવનનું આ કઠોર સત્ય છે અને આ સત્યને જીવનભર જીરવવું પડતું હોય છે.
સંવાદિતા, સાહચર્ય, પરસ્પરમયતા, પ્રસન્નતા, સમાજલક્ષી જીવન, પ્રવૃત્તિશીલતા અને ફરી પાછી પ્રારંભની એ જ દૃઢિકરણ માટેની સંવાદિતા એવાં આ સાતેય સૂત્રોમાં પતિ-પત્ની વચ્ચે દાંપત્ય જીવનમાં કેવું સમાયોજન હોવું જોઇએ તથા તે માટે કેવી રીતે જીવવું જોઇએ તેનું સ્પષ્ટ માર્ગદર્શન અપાયું છે અને આડકતરી રીતે એવું પણ કહેવાયું છે કે આ બધું સાથે મળીને જ થઇ શકે. આમ સંસારઘાણીએ જોતરાએલાં ઉભય પતિપત્નીએ કદમ મિલાવીને પરસ્પરના સહયોગથી જીવવાનું હોયછે. સુખમય દાંપત્યજીવન સંવાદિતા ઉપર આધારિત છે, જરા સરખી પણ વિસંવાદિતા જીવનને ઝેર બનાવવા સમર્થ નીવડતી હોય છે.
-વલીભાઈ મુસા
(309) 2011 in review
The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.
Here’s an excerpt:
The concert hall at the Syndey Opera House holds 2,700 people. This blog was viewed about 14,000 times in 2011. If it were a concert at Sydney Opera House, it would take about 5 sold-out performances for that many people to see it.





Recent Comments