[ડિસ્ક્લેમર – આ લેખ સંપૂર્ણતયા એક ‘નિકમ્મા’ માણસનો આત્મલક્ષી (જાત અંગેનો) વાહિયાત લેખ છે. બ્લૉગવાચકના વાંચનની હરેક પળ કિંમતી હોય છે, તે એની જાણ બહાર ન હોવા છતાં; એ આ ધૃષ્ટતાપૂર્ણ હરકત કરવા કૃતનિશ્ચયી છે ! તો વાચકમિત્રો એને બકવા દો ! (‘વલદા’ ઊર્ફે ‘વિલિયમ’ના આત્માનો અવાજ!]
* * * * * *
સર્વ પ્રથમ તો હું આપ સૌ વાચકોને માત્ર ભલામણ જ કરું છું (કોઈ આગ્રહ નથી, હોં !) કે આ ‘નિકમ્મા’ માણસનો ‘નિકમ્મો’ લેખ વાંચવા પહેલાં કે પછી પણ અનુકૂળતાએ તેનો એક લેખ ‘મારો જન્મદિવસ –નવી નજરે’ને નજરતળે કાઢી લેશો. આમ કરવાથી મિરઝા ગાલિબના આ મતલબના એક શેર “મસ્જિદમાં ગુમાવેલા સમયનું સાટું પીઠામાં જઈને વાળો !” – (વાચ્યાર્થ ન લેતાં એના ગૂઢાર્થને પામવા જેવો છે !) પ્રમાણે તમે કંઈક ફાયદામાં રહેશો !
હવે મારા બકવાસને શરૂ કરવા પહેલાં પોતાના ચિંતનપ્રધાન લેખોથી વાચકોના ચારિત્ર્યઘડતર માટે અખબારોમાં મુલ્યવાન વાંચનસામગ્રી પીરસતા વિખ્યાત સાહિત્યકાર શ્રી કૃષ્ણકાન્ત ઉડનકટના (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 10 ઓગસ્ટ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ) લેખના એક ઉમદા અંશને તેમની સંમતિની અપેક્ષાએ નીચે આપી રહ્યો છું, જે મારા આગળ આવનારા લખાણને સહ્ય બનાવવા માટે અગાઉથી બેલીરૂપ બની રહેશે !
“રાહ ન જુઓ. રાહ જોવામાં ઘણી વખત બહુ મોડું થઈ જતું હોય છે. જિંદગીની દરેક ક્ષણ એક સરપ્રાઇઝ છે અને દરેક સરપ્રાઇઝ પ્લેઝન્ટ નથી હોતી. સારું સરપ્રાઇઝ હોય એને આપણે ‘વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ’ કહીએ છીએ, સારું ન હોય એ સરપ્રાઇઝ આઘાત બની જતી હોય છે. જિંદગી જીવવી છે ? તો જિંદગી ઉપર ભરોસો ન કરો. જિંદગી જીવી લો. અત્યારે અને આ ક્ષણે જ. જિંદગી તમને છેતરે એ પહેલાં તમે એને છેતરતા રહો. ઘણા લોકો પાસે બધું જ હોય છે, બસ જિંદગી નથી હોતી. ઘરે જવાની ઉતાવળ ન હોય એવા માણસની વેદના ચીસો પાડતી હોય છે પણ કોઈ એ ચીસો સાંભળતું નથી. તમને રોજ ઘરે જવાની ઉતાવળ હોય છે ? જો આવું થતું હોય તો તમે નસીબદાર છો. કોઈ પ્રોમિસને પેન્ડિંગ ન રાખો, કોઈ વાયદાને અધૂરો ન છોડો, કોઈ ઇચ્છાને દબાવી ન રાખો. સમય દગાખોર છે, એનો જરાયે ભરોસો ન કરો. એ ક્યારેય જરાયે ધીમો કે આપણે કહીએ એમ ચાલવાનો નથી. એ તો એની રફતારથી જ ક્યારેક સીધી તો ક્યારેક આડી-ટેડી ચાલ ચાલતો રહેવાનો છે. સમયને પડકારીને કહો કે તારે જે રીતે ચાલવું હોય એ રીતે ચાલ, મને ફર્ક પડતો નથી, કારણ કે મારે જે કરવાનું છે એ હું ક્યારેય મુલતવી રાખતો નથી !”
સર્વપ્રથમ તો મારા ઉપરોક્ત લેખને ન વાંચનારાઓની જાણ માટે કહી દઉં કે મારી જન્મતારીખ ૭મી જુલાઈ છે અને વર્ષ છે, ૧૯૪૧. ચાલુ વર્ષના જ ગત જુલાઈની ૭મી તારીખે હું મારા જીવનનાં ૭૩ વર્ષ પૂરાં કરીને ૭૪મા વર્ષમાં પ્રવેશ્યો હતો. આમ તો હું મારાં સદગત ત્રણેય માવીતરને હરપળે મારા સાન્નિધ્યમાં જીવંત જ અનુભવતો હોઉં છું, પરંતુ એ દિવસે મારાં શ્રીકૃષ્ણનાં દેવકીમા સમાં મારાં નૂરીમા (My biological mother)ની વિશેષ યાદ આવી ગઈ. (અમારાં ‘જશોદામા’ અર્થાત ‘મલુકમા’ વિષેનો એક લેખ ‘જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય !’ શીર્ષકે મારા બ્લોગ ઉપર વિદ્યમાન છે જ.). નૂરીમાની યાદ આવવાનું કારણ એ હતું કે તેમનું અવસાન ૧૯૭૩ની સાલમાં થયું હતું. જો કે એમની મૃત્યુ તારીખ તો ૦૪-૦૧-૧૯૭૩ જ હતી અને ‘૭૩’ના આંકડા સિવાય અહીં અન્ય કોઈ સામ્ય ન હતું. પરંતુ આંકડાશાસ્ત્રમાં રસ ધરાવતા એવો હું એ તારીખને મારી આદત મુજબ ૭૩-૦૧-૦૪ ગોઠવી બેઠો અને મારા મનમાં એક વિચાર ઝબક્યો કે ‘વલદા, આ તો ૭૩ વર્ષ ૧ માસ અને ૪ દિવસ જેવું થયું ન ગણાય !’ ! પછી તો તરત જ મેં મારી જન્મતારીખમાં ૧ માસ અને ૪ દિવસ ઉમેરી દીધા અને જુલાઈ માસના ૩૧ દિવસને ધ્યાનમાં રાખીને નવીન તા.૧૧-૦૮-૧૪ને તારવી કાઢી. હવે આ તારીખને મારે શું સમજવું, એમ વિચાર કરતાંકરતાં મને લાગ્યું કે આને હું મારી નવીન જન્મતારીખ તો ન જ બનાવી શકું; કેમ કે કોઈ પણ વ્યક્તિની જન્મતારીખ તો નિશ્ચિત હોય છે, અફર હોય છે. મારો વિચાર આગળ ધપ્યો અને હું મનોમન તા.૧૧-૦૮-૧૪ને મારી મૃત્યુ તારીખ ધારી બેઠો.
આજે મારા મૃત્યુ માટેની ધારેલી તા.૧૧-૦૮-૧૪ છે અને આજે આ જ તારીખે આ લેખ લખી રહ્યો છું. હું લખતાંલખતાં આટલા સુધી આવ્યો છું અને કોમ્પ્યુટરના ઘડિયાળમાં જોઉં છું, તો ભારતીય સાંજના ૫:૪૦ નો સમય બતાવે છે. હજુ તો મધ્ય રાત્રિના બાર વાગે તારીખ બદલાશે. જો હું અવસાન પામ્યો તો આજની તા.૧૧-૦૮-૧૪ એ મારી મૃત્યુતારીખ બની રહેશે, જેની સાથે મારા મૃત્યુ પછી મારે તો કોઈ મતલબ રહેશે નહિ; કેમ કે હું તો અનંતની યાત્રાએ પહોંચી ગયો હોઈશ ! વળી હું જીવતો રહ્યો, તો પણ આ તારીખ મારા માટે કોઈ ખપની રહેશે નહિ; સિવાય કે એક હાસ્યાસ્પદ તુક્કા તરીકેની મારા માટેની એક તારીખ ! પણ હા, તા.૧૨-૦૮-૧૪નું મારા માટે એક મહત્ત્વ રહેશે ખરું; કેમ કે મારા અંગત મતે જીવતદાન પામ્યા પછીની ફક્ત મારા માટેની જ એ મારી નવીન જન્મતારીખ તો જરૂર હશે !
આમ આજની મધ્યરાત્રિએ હું કુટુંબીજનો આગળ શાબ્દિક રીતે નહિ, પણ સ્વગત આ શબ્દો તો મારા મનમાં લાવીશ જ કે ‘લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!’
-વલીભાઈ મુસા
pragnaju
August 11, 2014 at 1:26 pm
સરસ ચીંતન
જાણે અમારા જ વિચારો !
વિનોબાજીએ એક વાર પૂછ્યું કે, ‘મૃત્યુ પછી પ્રિયજનને ફરી મળવાની કોઈ તક ખરી?’ ત્યારે તેમણે કહેલું કે ‘જો નિસ્વાર્થ પ્રેમ અને કેવળ સેવાની ભાવના હોય તો જરૂર મળી શકાય.’ આ એક ભારે મોટું આશ્વાસન છે. જેમણે આપણે અપાર પ્રેમપૂર્વક ચાહતા હોઈએ, તેમની સેવા અને હિત તો આપણે હૈયે જ હોય જ ને? આસક્તિ જુદી ચીજ છે અને પ્રેમ જુદી ચીજ છે. આપણા પોતાના સ્વાર્થ ખાતર કોઈ વ્યક્તિ સાથેનું વળગણ એ આસક્તિ છે અને સામેની વ્યક્તિના હિત અને સુખ ખાતર એના સાનિધ્યની ખેવના કરવી એ પ્રેમ છે. પ્રેમ એટલે આપવું. પ્રમ એટલે સામેની વ્યક્તિને સમૃદ્ધ કરવી. જો મરનાર વ્યક્તિ માટે આપણા અંતરમાં આવો નિર્વ્યાજ, નિર્મળ અને નિરપેક્ષ પ્રેમ હશે તો તેની સાથે પૂનર્મિલન શક્ય છે. આવો સઘિયારો સંત પુરુષો આપે છે.
દુઃખ ઘટાડવાનો એક બીજો ઉપાય પણ છે. મનને એક અભ્યાસ કરાવવો કે મિલન કેવળ સ્થૂળ સાથમાં જ હોય છે તેવું નથી. માણસ દૂર હોઈને પણ નિરંતર સાથે હોઈ શકે છે. સદેહે સાથે હોઈએ ત્યારે તો થોડુંઘણું પણ જુદા પડવાનું હોઈ શકે પણ સૂક્ષ્મ અને પરોક્ષ સંયોગમાં તો નિરંતર મિલન જ હોય છે. એટલે આંતરિક મિલનનો, એટલે કે અંતરના તારેતાર સત્તત મળેલા રહે તે માટેની સાધના કરી હોય તો બાહ્ય સ્થૂળ જોગ-વિજોગ એટલા મહત્વના રહેતા નથી. પછી મૃત્યુને પેલે પાર પણ અખંદ મિલન છે વેવી શ્રદ્ધા મૃત્યુની પીડાને સહ્ય બનાવી શકે.
જ્યાં સંયોગ છે, ત્યાં વિયોગ છે જ.વિરહ વગરનું મિલન સંભવતું જ નથી. આ તથ્યને માથે ચડાવવું જ રહ્યું અને વિયોગ માટે મનને તૈયાર કરવું રહ્યું.
યાદ આવે જગદીશ જોષી
મને આપો એક સાંજ
મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ
ફરફરવા લાગે આ સાત સાત જન્મોના
તાણીને બાંધેલા કેશ,
મારાથી સાવ મને અળગી કરીને નાથ !
કાયમની કેદ મને આપો
રે મને મનગમતી સાંજ એક આપો
કે ઝૂરે મૃગજળમાં ક્યારનો તરાપો.
જિસને ભી જાના ઇશ્ક કો તફરીહ, ખુશ રહા,
સંજીદા હો કે હમ તો નિહાયત દુઃખી રહે. – હસન નઇમ
મહોબ્બતને જો માત્ર સુખદ સમય ગણી લીધો હોત તો આનંદમય રહેવા માટે કોઇ ખેદ હતો જ ક્યાં ? પણ એ ખેદનો ભેદ મોડે મોડે સમજાય તો એનો અર્થ રહેતો નથી. હા, એકને હાનીકારક તો અન્ય માટે ઉપકારક બની શકે એ ચોક્કસ…
ઇશ્ક હુવા તો ક્યા હુવા,
રબને કુબુલ કી તેરી દુવા,
બોજ અલતાફ ગર સમજા
ઇશ્કકે દાયરેસે બહાર નીકલ જા
LikeLiked by 2 people
Valibhai Musa
August 11, 2014 at 2:46 pm
ધન્યવાદ.
અંતાક્ષરીમાં તો અગાઉના ગાયકની ગાન કરેલી કડીનો છેલ્લો અક્ષર પકડાય, પણ તમે તો, બહેનજી, વિષયનું કેવું સરસ બંધબેસતું અનુસંધાન લાવી જાણો છો ! આપના પ્રતિભાવો એ આપના વિશાળ વાંચનનું ફળ છે, જેને હું તો અમરફળ જ ગણાવીશ; કેમ કે તે શાશ્વત કાળ સુધી નેટાકાશમાં એ અસ્તિત્વમાં રહેશે જ.
LikeLike
chandravadan
August 11, 2014 at 2:24 pm
આમ આજની મધ્યરાત્રિએ હું કુટુંબીજનો આગળ શાબ્દિક રીતે નહિ, પણ સ્વગત આ શબ્દો તો મારા મનમાં લાવીશ જ કે ‘લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!’
-વલીભાઈ મુસા
A lekh with your thoughts.
These thoughts link you to your recent Birthday.
But….it’s NOT the Birthday but the thoughts of one’s DEATH that often linger within ( some express as words & some keep hidden within).
Your imagination demonstrated your Creativity with the Words.
A NICE Lekh is the result of your Creativity.
Abhinandan !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Inviting you @ Chandrapukar !
Hope to see you !
LikeLike
Valibhai Musa
August 11, 2014 at 2:38 pm
Thanks Chandravadanbhai, Thanks !
LikeLike
સુરેશ
August 11, 2014 at 3:07 pm
વન્ડર ફુલ !
જીવતા રહ્યા હો તો વાંચજો!
———–
મારા મોટાભાઈ – સ્વ. પિયુષભાઈને તમે મળેલા છો. એ હમ્મેશ મળીએ ત્યારે ‘હેપી બર્થ ડે’ કહેતા- એ વાત તમને અગાઉ અનેક વખત કરેલી જ છે – એના ગૂઢાર્થ સાથે.
હેંડો ત્યારે નવો રિવાજ પાડું –
મરણ દિનની હાર્દિક શુભેચ્છાઓ !!!
LikeLiked by 2 people
HIMATLAL PATEL
August 20, 2014 at 2:34 pm
તા. ૧૨.૮.૨૦૧૪ વીતી ગઈ છે. અને અમને આપની સાહિત્ય પ્રસાદી મલતીજ રહેશે, એનો આનંદ છે, ભાઈ. પરભુ અમારો આ આનંદ જલ્દી જલ્દી જુટવી ના લે, તેજ પ્રાથના .
LikeLike
Valibhai Musa
August 20, 2014 at 4:32 pm
આભાર હિંમતભાઈ. આપની પ્રાર્થનાથી હિંમત અનુભવું છું. તા.૧૨.૦૮૧૪ પછીના સમયને બોનસ લાઈફ સમજીને યથાશક્તિ, યથામતિ મારાથી થઈ શકશે તેવાં અન્યોનાં કામો કરવાનો પ્રયત્ન કરીશ. ‘મારો જન્મદિવસ –નવી નજરે’માં મેં સૌને લાગુ પડતી આ જ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપ જેવા સહૃદયી વાચકો જ સર્જકની કલમને નવુંનવું કંઈક લખવા થાબડતા હોય છે,
LikeLike