RSS

ભ્રષ્ટાચારની પેલે પાર

28 Dec

Click here to read in English

ભારતના પ્રાચીન પંડિત ચાણ્ક્યના સાહિત્યિક સર્જન ‘નીતિશાસ્ત્ર’માં એક અવતરણ છે કે “માણસે કપરા આર્થિક કટોકટીના સંજોગો સામે રક્ષણ મેળવવા માટે પૈસા બચાવવા જોઈએ, વળી જરૂર પડ્યે ધનદોલતનું બલિદાન આપીને પણ પોતાની પત્નીને બચાવી લેવી જોઈએ; પણ તેથીય વધારે આગળ પોતાના આત્માને બચાવવા માટે જરાય ડગ્યા વગર પોતાની પત્ની અને ધનદોલત પણ ન્યોછાવર કરી દેવાં જોઈએ.”

માત્ર નોકરશાહો જ નહિ, પણ અન્ય જે કોઈ ભ્રષ્ટાચારની વ્યાખ્યાના વ્યાપમાં આવતા હોય તે સઘળા લોકોએ ચાણ્ક્યના ઉપરોક્ત શબ્દો ઉપર પુખ્ત વિચાર કરવાની સાથે સાથે રામાયણના રચયિતા મહાન ઋષિ વાલ્મિકીના જીવનચરિત્રને પણ જાણી લેવું જોઈએ. આપણે જાણીએ છીએ કે વાલ્મિકી પોતાના જીવનના પૂર્વ કાળમાં વાલિયા લૂંટારા તરીકે કુખ્યાત હતા. તેમનાં કુટુંબીજનોને પૂછવામાં આવતાં બધાંએ તેમના પાપના ભાગીદાર થવાની ના પાડવા ઉપરાંત એ પણ કહ્યું કે જે કોઈ પાપ આચરે તેણે પોતે જ તેનાં પરિણામો ભોગવવાં પડે.

ફરજભંગ અને તેના ભાગરૂપ ત્વરિત બજાવી લેવાનાં કાર્યોને જાણીજોઈને વિલંબમાં નાખી દેવાના વલંણને પણ ભ્રષ્ટાચારના ભાવાત્મક (અદૃશ્ય) સ્વરૂપમાં ગણી લેવાં જોઈએ. સાવ સંક્ષિપ્તમાં આ બાબતને વ્યાખ્યાયિત કરી શકાય કે ‘પોતાના ભરોંસાપાત્ર હોદ્દાનો અપ્રમાણિક લાભો મેળવવા માટે દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય.’ અહીં હું ચાણક્યને ફરી એક વાર તેના વધુ એક કથનથી યાદ કરીશ જે છે ‘જે પોતાના જે કોઈ માત્રાના દ્રવ્યથી સંતુષ્ટ હોય તેના માટે તેનું સ્વર્ગ આ પૃથ્વી ઉપર જ છે.’ પણ, આપણે આપણી ચારે તરફ દુનિયામાં જોઈએ છીએ કે સમાજના બધા જ વર્ગના લોકો ધનના ભૂખ્યા હોય છે. તેઓ લાંચ ખાતા હોય છે એટલા માટે કે તેઓ ભપકાભર્યું જીવન જીવવા માગે છે. તેમની પાસે જે કંઈ છે તેનાથી તેઓ જરા પણ સંતુષ્ટ નથી; અને એટલું જ નહિ પણ પોતાની અનૈતિક તૃષ્ણાઓને સંતોષવા માટે તેઓ ગમે તે કરવા તૈયાર થઈ જતા હોય છે. તેઓ પોતાના અંતરાત્માના અવાજને સાંભળવા સામે પોતાના કાનને બહેરા કરી દેતા હોય છે અને તેઓ પોતાના નાકની અણીથી આગળ કશું જ દેખતા નથી હોતા.

હું અહીં એક ઉદાહરણ આપવા માગું છું એ આશાએ કે પેલા લાંચ ખાનારા લોકો જેઓ પોતાના પાપના માર્ગમાં ગેરકાયદેસર કમાણીના કીચડમાં પોતાના કાનો સુધી ઊંડા અને ઊંડા ઊતરી ગયા છે તેઓ એટલેથી બહાર નીકળીને નીતિના માર્ગે પાછા ફરે. ઘણા ભ્રષ્ટ માણસો અન્યોને કાયદાકીય રીતે સજા કરવામાં આવી હોય અને જેમનાં કુટુંબો બધી તરફથી બરબાદ થઈ ચૂક્યાં હોય તેવાઓ ઉપરથી પણ કોઈ બોધપાઠ લેતા નથી હોતા. આવા માણસો તે માણસના જેવા છે કે જે બીજાઓને અરીસાઓ તો વેચે છે, પણ પોતે પોતાનાં કપડાં સરખાં કરવા તેમાં જોતો નથી. વળી નવાઈની વાત તો એ હોય છે કે ત્યાંથી પસાર માત્ર થનારો કોઈક માણસ સાવ મફતમાં અરીસામાં ધ્યાનપૂર્વક નિહાળીને ઓછામાં ઓછો પોતાના ખમીશના કોલરને ઠીક કરી લેતો હોય છે. અહીં આપણે એ યાદ રાખવું જોઈએ કે માત્ર અરીસામાં જોઈ લેવું જ પૂરતું નથી, પણ આત્મસુધારણા માટે પ્રબળ ઈચ્છાશક્તિ પણ હોવી તેટલી જ જરૂરી છે. એક જાણીતી ઉક્તિ છે કે પાપથી ભરેલો કાચી માટીનો ઘડો વહેલો કે મોડો ફૂટ્યા વગર રહેતો નથી.

હવે આપણે આપણી ચર્ચાને એ દિશા તરફ વાળીએ કે વિશ્વવ્યાપી આ ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા કયા ઉપાયો પ્રયોજી શકાય. દુનિયાના મોટા ભાગના દેશો ખૂબ જ ચિંતીત છે કે કઈ રીતે ભ્રષ્ટાચારના કેન્સરના આ મહારોગને પહોંચી વળવું. આતંકવાદ સામેનું યુદ્ધ આંતરરાષ્ટ્રીય મદદ મેળવીને અને શસ્ત્રોનો ઉપયોગ કરીને કદાચ જીતી શકાય, પણ ભ્રષ્ટાચાર સામેનું યુદ્ધ તો દરેક દેશે પોતે જ સ્વબળે લડી લેવું પડે. આજકાલ સમાજનાં બધાં જ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર સહજ બની ગયો છે. ભ્રષ્ટાચારની સમસ્યાને હલ કરવા માટે ખુદ નાગરિકોથી વધારે કોઈ સક્ષમ પુરવાર થઈ શકે તેમ નથી.

ઘાતક એવા ભ્રષ્ટાચારના ભય સામેના યુદ્ધને જીતવા માટે સમાજના પ્રત્યેક ખૂણેથી સંયુક્ત ધોરણે પ્રયત્નો હાથ ધરાવા જોઈએ. સરકારોએ પણ માત્ર અર્થવ્યવસ્થાને જ પડકારરૂપ નહિ, પણ રાષ્ટ્રીય શિસ્તની મજબૂતી માટે તથા કાયદો અને વ્યવસ્થાના નવનિર્માણ માટે ભ્રષ્ટાચારના આ દુશ્મન સામે શંખનાદ ફૂંકવો જોઈએ. સર્વ પ્રથમ તો પ્રત્યેક દેશની સરકારોએ એવા કડક કાયદાઓ ઘડી કાઢવા જોઈએ કે જેથી ગુનેગારો માટે છટકી જવાની કોઈ બારી ખુલ્લી રહેવા ન પામે. પાયાના આ પગલા માટે શાસકોમાં આમ કરવા માટેની રાજકીય ઈચ્છાશક્તિ પ્રબળ હોવી જોઈએ. કોઈ પણ રાષ્ટ્ર જો ગંભીરતાપૂર્વક ભ્રષ્ટાચાર સામે લડવા માગતું જ હોય તો તેણે નવી એજન્સીઓ કે ખાતાંઓ શરૂ કરવાં જોઈએ અને બિનસરકારી સંગઠનોને આ કામે મદદરૂપ થવા પ્રોત્સાહિત કરવાં જોઈએ તથા તેમને મજબૂત થવા માટેની મોકળાશ પૂરી પાડવી જોઈએ. વળી ભ્રષ્ટાચાર વિરોધી આયોગોને વિપુલ સત્તાઓ સાથે પૂર્ણ સ્વાયત્તતા આપવી જોઈએ કે જેથી તેમની કાર્યપદ્ધતિમાં સરકારી અંતરાયો આડા આવે નહિ અને તેઓ આવા ભ્રષ્ટાચારીઓને તેમના મોભા કે સ્થાનની પણ પરવા કર્યા સિવાય કાયદાની પકડમાં લઈ શકે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ ઝૂંબેશના પૂરક ભાગ રૂપે કેટલાક નવીન કાયદાઓ પસાર કરવા ઉપરાંત કેટલાંક વિશિષ્ટ તપાસ એકમો ઊભાં કરવાં જોઈએ અને ન્યાયપ્રક્રિયા ઝડપી બનાવવા માટે કેટલીક ખાસ કે ફરતી અદાલતો/ટ્રિબ્યુનલની સ્થાપના કરવી જોઈએ કે જેથી સમગ્રતયા કામગીરીનું સફળ સંચાલન થઈ શકે. મુદ્રિત અને ઈલેક્ટ્રોનિક સમાચાર માધ્યમો પણ ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે ખૂબ જ મહત્વનાં છે. આ માધ્યમો ભ્રષ્ટાચાર આચરતાં તત્વોને વીણીવીણીને શોધી કાઢે, તેમનાં કરતુતોને ખુલ્લાં પાડે અને પરિણામલક્ષી લોકજાગૃતિનું કામ પણ કરે.

સમાજમાં વિસ્તરેલા ભ્રષ્ટાચાર માટે આપણે સૌ કોઈ સરખી જ રીતે જવાબદાર છીએ. માત્ર સરકારી તંત્ર ઉપર દોષારોપણ કરવું તે સદંતર ખોટું છે. આપણે આપણી જાતને આ તંત્રથી કેવી રીતે અલગ ગણી શકીએ? આપણે આપણી જાતને પૂછવાની શરૂઆત કરીએ કે ‘હું પ્રમાણિક છું? મારા સામે ભ્રષ્ટાચાર માટેની કોઈ તક આવે તો તેને હું લાત મારીશ ખરો?’ બધા જ લોકો માટે આંદોલનકારી થવું શક્ય નથી, પણ ઓછામાં ઓછું આપણે પોતે જ પ્રમાણિક રહીએ તો તે પણ પૂરતું છે. એ યાદ રહેવું જોઈએ કે જ્યારે કોઈ લાંચ આપે છે, ત્યારે જ કોઈક લાંચ સ્વીકારે છે. એક હાથે તાળી પડે નહિ. હું માનું છું કે લાંચ આપનાર અને લેનાર બંને સરખા જ ગુનેગાર છે. એવું કદીય બની શકે નહિ કે કોઈ ભ્રષ્ટ માણસ આપણા ખિસ્સામાં હાથ નાખીને આપણા પૈસા તફડાવી જાય! આપણે નાગરિકો આપણા સાચા અને ન્યાયી કામ માટે કોઈ સરકારી માણસ પાસે જતા હોઈએ તો આપણે આપણું મનોબળ મજબૂત રાખવું જોઈએ અને ચહેરા ઉપર કોઈપણ જાતનો સમાધાનકારી ભાવ ન આવવા દેવો જોઈએ. એ યાદ રહે કે લાંચિયો માણસ હંમેશાં બીકણ અને માટીપગો હોય છે અને આપણા શારીરિક હાવભાવ અને અવાજના રણકા સામે તેને ઝૂકી જ જવું પડે.

મારા લેખના સમાપન નજીક પહોંચવા પહેલાં, હું એ કહેવાનું પસંદ કરીશ કે લાંચ આપનાર વ્યક્તિ માને છે કે દરેક માણસની કિંમત હોય છે અને લાંચ લેનારો પણ પોતાના પક્ષે ચોક્કસ હોય છે કે તેની સત્તા હેઠળના કોઈપણ કામની કિંમત છે જ. કેલિ પ્રીસ્ટન (Kelly Preston) કહે છે કે ‘જો કોઈ દેશે ભ્રષ્ટાચારથી મુક્ત થવું હોય અને સુંદર વિચારો ધરાવતાં મનવાળા નાગરિકોના દેશ તરીકે ઊભરવું હોય તો, હું ભારપૂર્વક માનું છું કે સમાજના ચાવીરૂપ ત્રણ પ્રકારના માણસો જ આ ફેરફાર લાવી શકે; જેઓ છે પિતા, માતા અને શિક્ષક.’ એક સમય એવો હતો કે ખોટાં કામો કરાવવા માટે લાંચ આપવામાં આવતી હતી, પણ આજે સાચાં કામો યોગ્ય સમયે કરાવવા માટે લાંચ અપાય છે. ભ્રષ્ટાચારને નિભાવી લેવાની લોકોની મનોવૃત્તિએ જ ભ્રષ્ટાચારની માત્રાને ગણનાપાત્ર ઊંચી સપાટીએ પહોંચાડી દીધી છે.

ભ્રષ્ટાચારના વિશાળ સમુદ્રમાં શાર્ક જેવી મોટી માછલીઓ પકડવી મુશ્કેલ હોય છે, પણ નાની માછલીઓ સરળતાથી પકડાઈ જાય છે. ઘણીવાર ઉચ્ચતમ સત્તાવાળાઓ અને ખાસ કરીને રેવન્યુ, વાહનવ્યવહાર, જાહેર બાંધકામ, કરવેરા વગેરે જેવાં ખાતાંઓના અધિકારીઓ અને તેના નીચલા સ્તરના કર્મચારીઓ સુદ્ધાંની લાંચરૂશવત આચરવા માટેની પરસ્પર સંકળાએલી એક એવી કડી હોય છે કે બધા એકબીજાને છાવરતા હોય છે અને ટકાવારી પ્રમાણે અનીતિના આવા ધનને વહેંચી ખાતા હોય છે. ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે આવા ભ્રષ્ટ કર્મચારીઓનું સ્થાન જેલમાં હોવાના બદલે તેમને નોકરીમાં બઢતી આપીને ઊંચી પાયરીએ મોકલવામાં આવતા હોય છે. લોકશાહી દેશોમાં ચૂંટણીઓ ટાણે તો ભ્રષ્ટાચારનું બજાર ગરમ થઈ જતું હોય છે. રાજકારણીઆ લોકો ખુલ્લેઆમ ગરીબ અને અભણ મતદારોના મત ખરીદતા હોય છે અને તેઓ ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણીઓ જીતવા માટેના જંગી ચૂંટણીફંડ સામે પોતાની જાતને વેચી નાખતા હોય છે.

છેવટે વાસ્તવિકતા તો એ જ સ્વીકારવી રહી કે લાંચરૂશવતની બદી નાગરિકોના રોજિંદા જીવનમાં પરસ્પર એવી ગૂંથાએલી છે કે તેનો સમૂળગો નાશ કરવો એ મુશ્કેલ કામ છે. કેટલાક રોગોની જેમ તેને માત્ર અંકુશિત કરી શકાય, પણ સંપૂર્ણપણે મટાડી તો ન જ શકાય. આમ છતાંય તેને સહન કરી શકાય તેટલી મર્યાદામાં તો જરૂર લાવી શકાય. ભ્રષ્ટાચારના કાટની લાંબા ગાળાની એવી અસર હોય છે કે જેનાથી રાષ્ટ્રીય અર્થતંત્ર ખવાઈ જાય છે. આપણે ભ્રષ્ટાચારને ખૂબ જ લાંબા સમયથી વેઠતા આવ્યા છીએ; પણ તેનાં મૂળિયાં ઊખેડી નાખવાનો ખરો સમય તો હવે પાક્યો છે, જ્યારે કે આજકાલ વિશ્વ આખુંય મંદીના વિષચક્રમાં લપેટાઈ ગયું છે.

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version titled as “Rising above Corruption – A General Review” published on March 26, 2009.

 
1 Comment

Posted by on December 28, 2009 in Article, લેખ, Character, gujarati, Human behavior

 

Tags: , , , , , , ,

One response to “ભ્રષ્ટાચારની પેલે પાર

  1. pravinshastri

    December 1, 2014 at 4:34 pm

    ભારતીય વહિવટદારો અને પ્રજાની નીતિ-રીતિનો સરસ લેખ. લાંચ લઈને કામ કરનારો સારો. લાંચ નહીં લઈને કામ નહીં કરનાર નક્કામો…લાંચ લઈને પણ કામ ન કરનાર ખરાબ. રોજબરોજના સરકારી કામોમાં અમને અમેરિકામાં આવી તકલીફ નથી પડતી.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: