RSS

Tag Archives: જીવનઘડતર

(276) પોલીસ-ચોર કે ચોર-પોલીસ રમત? – 1

(276) પોલીસ-ચોર કે ચોર-પોલીસ રમત? – 1

(ભાગ-2 માટે અહીં ક્લિક કરો.)

આજે રવિવારી સવારે મારા પૌત્રના શેરીમિત્રો અમારા ઘરે રમવા માટે આવી ગયા હતા. એ અમારો અઠવાડિક કાર્યક્રમ રહેતો, જેમાં અમે અવનવી બાળરમતો રમતા. શરૂઆતમાં તો પેલાં ભુલકાં સંકોચ અનુભવતાં એટલા માટે કે તેમની સાથે એક વયોવૃદ્ધ માણસ બાળક બનીને રમવા માગતો હતો. ધીમેધીમે તેઓ મારી સાથે અનુકૂલન સાધતાં ગયાં અને પછી તો અમને અન્યોન્ય એકબીજાનું એવું વ્યસન થઈ ગયું કે સૌ બેચેનીપૂર્વક રવિવારના આગમનની રાહ જોવા માંડ્યા. છેલ્લા કેટલાક રવિવારથી અમારામાં બાળકીઓ પણ ભળવા માંડી હતી.

આજે મારા પૌત્રે પોલીસ-ચોરની રમત રમવાની દરખાસ્ત મૂકી અને તમામે વધાવી લીધી. મારું મન માનતું ન હતું એટલા માટે કે કુમળા માનસને અનુરૂપ આ રમત ન હતી. કાવ્યમય ન્યાય (Poetic Justice) મુજબ રમતનો અંત ન આવે અને અંતે ચોરટોળકી ફાવી જાય તો મોટી મુશ્કેલી સર્જાય. રમતના અંતની વાત રહેવા દઈએ, પણ રમતના પ્રારંભે જ ચોરટોળકીની રચના કરવી પડે અને કદાચ એવું પણ બને કે કોઈ ચોર બનવા તૈયાર ન થાય અને માત્ર પોલીસોની ભરતી થાય તો રમત શી રીતે રમાય! આમ છતાંય મને એમ થયું કે બાળકો ભેગા રમવું હોય તો બાળક બનીને જ રમાય અને તેમના વિચારોની આવી સીધી પરિપક્વતાની કોઈ અપેક્ષા રાખવી અસ્થાને ગણાય. રમત શરૂ થવા પહેલાં અમારી વચ્ચે આમ સંવાદ થયો:

‘બોલો છોકરાંઓ, આપણે પોલીસ-ચોર રમત રમવી છે કે ચોર-પોલીસ?’

‘આ વળી નવી વાત! બંનેમાં શો ફેર તે જરા સમજવશો?’

‘પોલીસ-ચોરમાં પોલીસ પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવે, ચોરને પકડી પાડે, તેના ઉપર કોર્ટમાં કેસ મૂકે અને તેને સજા અપાવે.’

‘જ્યારે ચોર-પોલીસમાં પોલીસ ભ્રષ્ટાચારી હોય, ચોરને ચોરી કરવા પ્રોત્સાહિત કરે, ચોરીમાં ભાગ રાખે અને લોકો ચોરો અને ચોરીઓથી ત્રાહિમામ્ પોકારે!’

મારા પૌત્રે કહ્યું, ‘દાદા, આજે આપણે એ બે પૈકીની કોઈપણ રમત ન રમીએ અને તમે ફક્ત એવી કોઈ ઘટના અમને કહી સંભળાવો જેમાં પોલીસે ખોટી રીતે કોઈ ગરીબ માણસને પરેશાન કર્યો હોય! નિશાળમાં અમારા સાહેબે ‘વાડ ચીભડાં ગળે’ કહેવત સમજાવતાં જુલ્મી રાજા અને ભોળી પ્રજાનું જૂના રાજાશાહીના જમાનાનું ઉદાહરણ આપ્યું હતું. હાલમાં તો લોકશાહી છે અને પ્રજાના સીધા રક્ષણની પહેલી જવાબદારી પોલીસની બને. પોલીસ વાડ સમાન રક્ષક હોવા છતાં પ્રજાનું કઈ રીતે અહિત કરી શકે એવી સરસ મજાની કોઈ વાત અમને કહી સંભળાવો.’

‘સાંભળો ત્યારે…’ મેં શરૂ કર્યું.

“ઘણા સમય પહેલાં એક ગામમાં બે વણઝારાભાઈઓ પોતપોતાનાં કુટુંબો સાથે ગામથી થોડેક છેટે નાનકડા તંબુ તાણીને રહેતા હતા. બંને ભાઈઓ વચ્ચે ત્રીસપાંત્રીસ ગધેડાં હતાં. બિચારા માટીકામ કરે અને પોતાનાં કુટુંબોનું માંડમાંડ ભરણપોષણ કરે. એક દિવસે તેમના તંબુ આગળ પોલીસનો ડબ્બો (મોટરગાડી) આવી ગયો. ત્રણચાર પોલીસવાળા તાબડતોબ ડબ્બામાંથી નીચે ઊતરીને પેલાઓના તંબુઓમાં ઘુસી જઈને ગોદડાં અને સરસામાન વગેરે ફેંદવાનું શરૂ કર્યું. પેલા બિચારાઓએ હાથ જોડીને વિનંતીભાવે કહ્યું, ‘અરે, અરે, સાહેબો શું કરો છો?’

પી.એસ.આઈ.એ બંનેને ધોલધપાટ કરીને એટલું જ કહ્યું, ‘પોલીસને તેનું કામ કરવા દો, નહિ તો પકડીને જેલભેગા કરી દઈશ.’

‘પોલીસ પાસે ન તો સર્ચ વોરંટ, ન તો કોઈ લેખિત હૂકમનો કાગળ કે ન તો મૌખિક રીતે કંઈ પણ કહેવાનું કે શા માટે જડતી થઈ રહી છે. પેલા બંનેની પત્નીઓ અને છોકરાં મોટેમોટેથી રડવા માંડ્યાં. તમારી ઉંમરના એક છોકરાએ જોયું કે પેલા મોટા સાહેબે તેના બાપા અને કાકાને ધોલધપાટ કરી છે તે જોઈને તેણે પેલા સાહેબને એક માટીનું ઢેફું માર્યું અને ત્યાંથી નાસી ગયો. પેલા પી.એસ.આઈ.નો પિત્તો ગયો અને બીજાં છોકરાંઓ અને સ્ત્રીવર્ગ ઉપર લાકડીએ લાકડીએ ફરી વળ્યો.’

‘આ તો અન્યાય કહેવાય! આજુબાજુથી કોઈ બિચારાંની વારમાં ન આવ્યું!’

‘એક તો ગામના છેવાડેના ભાગે તેઓ રહેતાં હતાં અને બીજું બધા ખાખી કપડાથી ડરે! એ લોકો ગમે તેવા ઈજ્જતદાર માણસને ફસાવી દે! કહેવત છે કે જમનું તેડું સારું, પણ જમાદારનું ખોટું! હજુ આગળ તો સાંભળો.’

“જડતી લેતાં લેતાં એક એલ્યુમિનિયમના ડબ્બામાંથી એક સો રૂપિયાની નોટ મળી. પેલાઓની આંખમાં ચમક આવી અને ગાળો ભાંડતાં કહ્યું કે ‘નાલાયકો આવડી મોટી રકમ તમારી પાસે ક્યાંથી?’ એ જમાનામાં સો રૂપિયા એટલે જાણે કે હાલના દસ હજાર અથવા તેથીય વધારે રૂપિયા! એ વખતે સોનાનો ભાવ તોલાના સોએક રૂપિયા માત્ર હતો. તંબુ જેવા જૂનાંપુરાણાં કપડાંથી બનેલા ઝૂંપડામાં એક તોલા સોનાની કિંમત જેટલા રોકડ રૂપિયા! ખાખી યુનિફોર્મની નજરે તો અધધધ કહેવાય! તેણે કરડી આંખે પૂછ્યું, ‘આ નોટ તારી પાસે ક્યાંથી?”

“પેલા દૂર દેખાય તે મુખી કાકાના બંગલે ચાલો સાહેબ. તેઓ અહીંની મોટી નેહાળના પરમુખ સાહેબ છે. આજે સવારે જ તેમણે મારું અંગુઠાનું નિશાન લઈને નિશાળના બાંધકામ માટેના માટીકામના સો રૂપિયા આપ્યા છે.”

“જા અલ્યા એય છોકરા, મુખીકાકાને બોલાવી લાવ અને કહેજે કે આ વણઝારાવાળી સો રૂપિયાની પાવતી પણ લેતા આવે! જોઈએ તો ખરા કે આ સો રૂપિયા તેની મહેનતના છે કે ચોરીના?’

‘મુખીકાકા પાવતી લઈને આવ્યા, સાબિત થઈ ગયું કે વણઝારો સાચો છે.’

‘મુખીકાકાએ સાક્ષી પૂરી કે આ બધા બિચારા મહેનત કરીને જીવવાવાળા છે. ભૂખ્યા રહે, પણ ચોરી તો શું ભીખ પણ માગે નહિ.’

‘કાકા, હવે તમે જાઓ અને અમને કામ કરવા દો. એક ગામે કાપડની દુકાનનું કેબિન તૂટ્યું છે અને આ લોકોના સગાવહાલાઓનું કામ છે. એમાંનો એક પકડાઈ ગયો છે અને તેણે જુબાની આપી છે કે તેઓ અહીં મહેમાન બનીને રહ્યા હતા.’

એક વણઝારો બોલ્યો, ‘વાત સાચી છે. પણ એ લોકો તો કોઈ ગધેડાં વેચવાનાં હોય તો લેવા માટે આવ્યા હતા. નક્કી શાહેબ તેમણે બનાવટ કરી, પણ અમને શી ખબર પડે કે તેમણે આવું કાળું કામ કર્યું હશે!’

‘આ વાત ચાલતી હતી અને એક પોલીસવાળાએ પેલા સાહેબને એક નાનકડી છીંકણી સૂંઘવાની ડબ્બીથી પણ નાની દાબડીમાં અડધા ભાગમાં ચોંટેલું અફીણ બતાવ્યું.. પી.એસ.આઈ.ના ચહેરા ઉપર ફરી ચમક આવી ગઈ. એક કાંકરે બે પક્ષીના શિકાર જેવો ઘાટ પડ્યો. સો રૂપિયાની નોટ પડાવી લેવાનું બહાનું અને નાર્કોટિક (Narcotic) નો એક કેસ મળ્યો.’

એક બાળકીએ પૂછ્યું, ‘દાદા એ શું?’

‘જો બેટા, અફીણ નશીલો પદાર્થ ગણાય અને નાર્કોટિકના કાયદા હેઠળ અમુક જથ્થાથી વધારે માત્રામાં હોય તો વેપાર સાબિત થાય. આમાં દસ વર્ષની સજા અને એક લાખ રૂપિયા દંડ થાય. હવે આગળ સાંભળો તો ખરા! પેલા વણઝારાઓની સ્ત્રીઓએ કહ્યું કે સાહેબ અમે નાનાં છોકરાંને નાની કણી આપીને ઘોડિયામાં ઊંઘાડી દઈએ કે જેથી અમે માટીકામમાં અમારા ધણીઓને મદદ કરી શકીએ.’

બીજો વણઝારો બોલી ઊઠ્યો,’મારી બાઈડીની વાત સાચી છે. વળી પેલી કહેવત મુજબ ગધેડા કરતાં બાર ગણું અમારે ચાલવું પડે અને આમ અમે થાકી જઈએ અને રાત્રે અમારા પગ તૂટતા હોય એટલે અમે નાની કણી દાઢમાં દબાવીને સૂઈ જઈએ. રાત્રે મજાની ઊંઘ આવે!’

‘ચાલો, ચાલો. હવે પોલીસ થાણે અને તમને ત્યાં મજાની ઊંઘ મળશે. આમ કહેતાં તેમણે બે હાથકડી કાઢી. પેલા પોલીસવાળાઓમાંનો એક દયા ખાતો હોય તેમ બોલ્યો, ‘સાહેબ ગરીબ માણસો છે અને બંને અંદર જશે તો બિચારાં ઘરવાળાં ખાશે શું? કોઈ એકને જ ઊપાડો અને બીજાના ગુનાના દંડના સો રૂપિયા લઈને તેને છોડી દો.’

‘પણ દાદા, આમ કોર્ટમાં કેસ ચાલ્યા વગર સીધે સીધો દંડ લઈ શકાય?’

‘ના, બેટા. આને લાલિયાવાડી કહેવાય! સત્તા આગળ શાણપણ કામ ન આવે. તેમણે એ રકમને દંડ એવું નામ આપ્યું, પણ તેને ખાયકી (લાંચ) જ કહેવાય અને તે પણ પોલીસગીરી કરીને લીધી ગણાય!’ મેં કહ્યું અને વાત આગળ ચલાવી.

‘પેલા એક વણઝારાને લઈને ડબ્બો ઊપડ્યો. પેલાં બૈરાંછોકરાં રડતાંકકળતાં રહ્યાં,’

‘દાદા, પછી છેવટે શું થયું?’

‘પોલીસને જાતજાતના ગુનાઓ પકડવાનો લક્ષાંક આપવામાં આવતો હોય છે. અફીણના દાણચોરોના તગડા હપ્તા મળતા હોય છે જેની રકમ છેક ઉપર સુધી ભાગ પ્રમાણે પહોંચતી હોય છે. આવા હળવા ગુનેગારો ઉપર કેસ કરીને એ પ્રકારના ગુનાઓ પકડવાના લક્ષાંકને પૂરો કરે. કોઈ વખતે નાનામોટા ગુનાઓના કારણે પોલીસના દફતરે ચઢેલાઓને બસોપાંચસો રૂપિયા આપીને આવો અફીણ કે દારૂની હેરાફેરીનો કેસ ઊભો કરતા હોય છે. અહીં તમારા સાહેબવાળી કઈ કહેવત લાગુ પડે, કહેશો છોકરાંઓ?’

‘વાડ ચીભડાં ગળે!’ બધાં એક અવાજે સમૂહમાં બોલી ઊઠ્યાં.

‘પણ દાદા, પેલા ગરીબ વણઝારાનું શું થયું?’ પેલી બાળકી રડમસ અવાજે બોલી.

“બેટા, અફીણને ઓછી માત્રામાં પોતાના ઉપયોગ માટે રાખવા બદલ બિચારાને છએક મહિનાઓ સુધી કોર્ટની તારીખો પડી ત્યાં સુધી જેલમાં રાખ્યો હતો, કેમ કે આવા ગુનામાં જામીન મળે નહિ. છેવટે તેને છ મહિનાની હળવી સજા થઈ અને કાચા કામના કેદી તરીકેની તેણે ભોગવેલી જેલને મજરે આપીને તેને છેલ્લી તારીખે કોર્ટમાંથી જ બારોબાર છોડી મૂકવામાં આવ્યો હતો. ચાલો છોકરાંઓ તમને બધાંને પણ છોડી મૂકું છું. આજનો કાર્યક્ર્મ પૂરો થયો, આવતા રવિવારે ફરી મળીશું. એ આવજો બધાં. પણ, એક વાત તો કહેવાની રહી ગઈ કે તમારામાંનાં મોટી ઉંમરનાં જે બાળકો હોય અને જે થોડીક ભારે ગુજરાતી ભાષા સમજી શકતાં હોય તેમને ભલામણ કરું છું કે જો પોતાના ઘરે ઈન્ટરનેટની સગવડ હોય તો તેઓ મારા બ્લોગ ઉપરનો ‘ભ્રષ્ટાચારની પેલે પાર’ લેખ અવશ્ય વાંચે. ધન્યવાદ.”

-વલીભાઈ મુસા


 
4 Comments

Posted by on October 1, 2011 in લેખ, FB

 

Tags: ,

(216) મિત્રો એ જ આપણું ભાગ્ય, સારું કે નરસું!

Click here to read in English
તાજેતરમાં એકાદ અઠવાડિયા અગાઉ વિશ્વભરમાં મૈત્રી દિવસ ઊજવાઈ ગયો. પશ્ચિમના દેશો ધાર્મિક ઉપરાંત કેટલાક સામાજિક દિવસોને પણ મહત્વ આપે છે. દર વર્ષે ઓગસ્ટ માસના પહેલા રવિવારને યુ.એસ કોંગ્રેસ દ્વારા ઈ.સ. 1935માં મૈત્રી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં તો ઘણા દેશો આ પ્રથાને અનુસરે છે અને આ દિવસને મૈત્રી દિવસ તરીકે ઊજવે છે. વળી આ દિવસ યુવાવર્ગ પૂરતો પણ સીમિત નથી, કોઈપણ વયજૂથનાં સ્ત્રીપુરુષ આ દિવસની ઉત્સાહભેર ઊજવણી કરે છે અને મૈત્રીને જિંદગીના અવિભાજ્ય અંગ તરીકેનું મહત્વ આપીને તેનો આનંદ પણ લૂંટે છે.

મેં મારા અગાઉના કોઈક લેખમાં લખ્યું હતું કે આપણા જીવનમાં સગાંસંબંધીની ભેટ તો ઈશ્વરની ઈચ્છાને આધીન કોઈ કુટુંબમાં જન્મ લેવા માત્રથી આપણને મળી જતી હોય છે, પછી ભલેને તેઓ આપણને માફક આવે કે ન પણ આવે. પરંતુ, આપણે ખાસ તો ઈશ્વરનો એ માટે તો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે તે આપણને મિત્રોની પસંદગી કરવા માટેની તક પૂરી પાડે છે. મિત્ર એ પત્નીની જ જેમ આપણા જીવનમાં આપણા જન્મ પછી જ નવીન વ્યક્તિ તરીકે દાખલ થાય છે. આમ, અહીં હું મિત્રાચારી ઉપરના મારા વિચારોને રજૂ કરીશ અને તેમને સમર્થન આપતાં કેટલાક ઉમદા અને મહાન લોકોનાં અવતરણોને મારા લેખમાં જ્યાં ભાર મૂકવો જરૂરી લાગશે ત્યાં હું આપતો રહીશ. Read the rest of this entry »

 

Tags: , , , ,

(208) “દાનધર્મ” માં ભાવનાનું મૂલ્ય

 

Click here to read English version (Preamble)

જગતના તમામ ધર્મોમાં ‘દાનધર્મ (સખાવત)’ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ અજ્ઞાત કથન છે કે ‘પ્રત્યેક ધર્માદાકાર્ય સ્વર્ગ તરફ ગમન કરવા માટેના પથ્થરના પગથિયા સમાન છે.’ આ વિધાન કદાચ ધાર્મિક મનોવૃત્તિવાળાઓ માટે સત્ય હોઈ શકે, પણ તેવાઓનું શું કે જેઓ સ્વર્ગ કે નર્કમાં માનતા નથી અને ઈશ્વરના અસ્તિત્વને પણ સ્વીકારતા નથી! ઈશ્વરને કોઈ ફરક પડતો નથી કે તેના પેદા કરેલા કોઈ જીવો તેને માને યા ન માને! તે તો હંમેશાં તેને માનવાવાળા કે ન માનવાવાળા એવા તમામ પ્રત્યે ભલો અને દયાળુ છે. એવા નાસ્તિકો કે બુદ્ધિવાદીઓમાં ખૂબ પ્રચલિત એક સૂત્ર છે કે ‘ઈશ્વર ક્યાંય નથી (God is nowhere). પરંતુ, મારું માનવું છે કે તેમને એ લોકોને પૂછવાનું કહેવું જોઈએ કે જેઓ બિચારા કોઈ આફતનો ભોગ બન્યા હોય અને વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા તેમને ખરા સમયે ધર્મભાવના હેઠળ કોઈ મદદો પ્રાપ્ત થઈ હોય! એવો જે કોઈ માણસ હશે તે તો પેલા સૂત્રને સાવ ફેરવી જ નાખતાં કહેશે કે ‘God is now here (ઈશ્વર હવે અહીં જ છે.)’ પણ, અહીં આપણો વિષય ‘દાનધર્મ કે પુણ્યકાર્ય’ જ હોઈ; આપણે તેવા નાસ્તિકોને તેમની હાલત ઉપર છોડી દઈશું, જ્યાં સુધી કે તેમને તેમના જીવનમાં એવી કોઈ દુ:ખદાયક કટોકટીનો સામનો કરવાનો વખત ન આવે! આમ કદાચ કોઈ એવા એકાદના જીવનમાં એવો કોઈ દિવસ આવી પણ શકે કે જ્યારે તેને પોતાની નાસ્તિક વિચારસરણીને ધરમૂળથી બદલી નાખવાની ફરજ પડે.

આ પ્રસ્તાવના પૂરી થયા પછી તરત જ મારો આ વિષય ઉપરનો મનનીય એક ગુજરાતી લેખ તો આવશે, પણ તે પહેલાં મારા બિનગુજરાતી વાચકો માટે સંક્ષિપ્તમાં અહીં કંઈક ઉમેરીશ. હું મારી પ્રિય વ્યક્તિ – સર વિન્સ્ટન ચર્ચિલ (Sir Winston Churchill) ના એક કથનને ટાંકીશ, જેમાં તેઓ કહે છે કે ‘આપણે કંઈક મેળવીને કે કમાઈને આપણું જીવન બનાવતા હોઈએ છીએ, પણ આપણે જો કોઈકને કંઈક આપીએ તો તે થકી તેનું તો જીવન બનતું હોય છે.’ આગળ તેમણે જ કહ્યું છે કે ‘કોઈ ગરીબ માણસે પણ યથાશક્તિ કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ.’ આ છેલ્લું કથન મારા આવનારા લેખમાં પ્રતિબિંબિત થશે. મધર ટેરેસા (Mother Teresa) એ પણ કહ્યું છે કે ‘આપણે કોઈને મદદ તરીકે કેટલું આપીએ છીએ તેનું મહત્ત્વ નથી, પણ આપણે જે કંઈ આપીએ તેમાં આપણી કેટલી લાગણી ભળેલી છે તેનું જ મહત્ત્વ છે.’ આ વિધાન પણ મારા લેખને અનુમોદિત કરશે. દાનના આ ઉમદા કાર્યમાં કંઈ પણ ન આપવા કરતાં કંઈક પણ આપવું તે વધારે બહેતર છે. ફ્રેન્ક ટાયગર (Frank Tyger) કહે છે કે ‘જો તમે કોઈની પીઠ ઉપરનો સઘળો બોજ ઉપાડી શકતા ન હો તો, તમે અણદેખ્યું કરીને ચાલ્યા જતા નહિ; પણ તેના બોજને હળવો બનાવવાનો તો જરૂર પ્રયત્ન કરજો.’

મારા મતે અને કદાચ તમારા મતે પણ એ વાત યથાર્થ જ હશે કે જ્યારે આપણે કોઈ જરૂરિયાતમંદને કોઈક વસ્તુ કે નાણાંનું દાન કરતા હોઈએ છીએ, ત્યારે આપણે તેના ઉપર કોઈ ઉપકાર કરીએ છીએ કે દયા બતાવીએ છીએ તેવું હરગિજ નથી. આપણે જે કંઈ આપીએ છીએ, તેમાંય જો આપણે કોઈ ઉદ્યોગ દ્વારા કોઈ માલનું ઉત્પાદન કરનાર ઉત્પાદક હોઈએ; તો આપણે વિશેષ કશું જ નથી કરતા, પણ ઈશ્વરે આપણને ઉદ્યોગ માટે જરૂરી એવો કાચો માલ જે પૂરો પાડ્યો છે, તેનું દાણ (Royalty) માત્ર જ ચૂકવીએ છીએ. જો આપણે વેપારવાણિજ્ય કરનારા કે કોઈ વ્યાવસાયિક હોઈએ તો ઈશ્વર તરફથી આપણને જે કંઈ બુદ્ધિશક્તિ પ્રાપ્ત થઈ છે અને જે થકી આપણે કમાતા હોઈએ છીએ તેના બદલા રૂપે આપણે તેને તેની ફરજિયાત વસુલી (Levy) જ ચૂકવીએ છીએ. જો આપણે ખેડૂત હોઈએ તો ઈશ્વર દ્વારા અર્પિત જમીન, પાણી, બિયારણ વગેરેનો જ ઉપયોગ કરીએ છીએ અને અનાજનું ઉત્પાદન કરી શકતા હોઈએ છીએ. જો આપણે મજૂર હોઈએ તો તેણે આપેલી શારીરિક શક્તિ વડે જ આપણે મજૂરી કરવા શક્તિમાન બનીએ છીએ. આમ જોવા જઈએ તો આપણું કશું જ નથી હોતું, જે કંઈ છે તે સઘળું તેનું જ છે. આ બધી આપણને પ્રાપ્ય ઉપભોગ માટેની સુવિધાઓ તો ઠીક, પણ આપણે પોતે જ તેની ઈચ્છાથી જ અસ્તિત્વમાં આવ્યા છીએ અને આપણા જીવનનો એકેએક શ્વાસ તેનો અને માત્ર તેનો જ મોહતાજ છે. આપ હજરત ઈમામ અલી (અ.સ.) પોતાના એક બોધવચનમાં ફરમાવો છો કે, ‘ જ્યારે માણસ મૃત્યુ પામે છે, ત્યારે તેનાં સગાંસંબંધી એ જાણવા પૂછતાં હોય છે કે મરનાર પોતાની પાછળ કેટલી માલમિલ્કત છોડી ગએલ છે, જ્યારે કે ફરિસ્તાઓ એ જોતા હોય છે કે ઈશ્વરના માર્ગ (ખુદાની રાહ) માં એણે કેટલું દાનપુણ્ય કર્યું છે!’

સમાપને કહેતાં, ઈશ્વર એ જ લોકોને ચાહે છે કે જે લોકો તેના જ પેદા કરેલા બંદા અર્થાત્ પોતાનાં માનવ ભાંડુંડાંને ચાહે છે. હવે, ‘સર્વોદય કેળવણી મંડળ શૈક્ષણિક સંકુલ, કાણોદર’ના માણેક મહોત્સવ સ્મૃતિગ્રંથ (ઓગસ્ટ – ૧૯૯૬)માંના મારા ગુજરાતી લઘુ લેખ “ભાવનાનું મૂલ્ય” ને વાંચવા માટે અહીં ક્લિક કરો. આ પ્રસ્તાવનામાં દર્શાવેલી હકીકતને તે લેખના અનુસંધાને સમજવા અને મૂલવવાનો પ્રયત્ન કરવામાં આવે તેવી અપેક્ષા સાથે અત્રેથી વિરમું છું.

ધન્યવાદ.

– વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

ભાવનાનું મૂલ્ય pdf

(૧) સ્કેન કરેલા Pdf જોડાણમાં ગુજરાતી શબ્દ ‘ફંડવાળા’ ના બદલે ‘ફંડફાળા’ વાંચવા વિનંતી.

(૨) મૂળ લેખમાં જુન ૦૯, ૨૦૦૭ ના રોજ શ્રી અલીભાઈ પલાસરા, પ્રમુખશ્રી, સર્વોદય કેળવણી મંડળ, કાણોદર દ્વારા મુકાએલા તેમના અંગ્રેજી પ્રતિભાવનો ગુજરાતીમાં અનુવાદ નીચે મુજબ છે : –

“પિય શ્રી વલીભાઈ મુસા,

હું આપના બ્લોગ લેખ “Charity” (ભાવનાનું મૂલ્ય) ને બિરદાવું છું. જોગસંજોગે, વ્યક્તિગત લઘુતમ રૂ|. ૫/- નું દાન આગળ જતાં આપના નુરમદ વજીર મુસા પરિવાર તરફથી “હાજી ડો. અલીમહંમદ એન. મુસા કોમ્પ્યુટર સેન્ટર” માટેના હાલ સુધીના વ્યક્તિગત મહત્તમ દાન રૂ|. ૫,૫૫,૫૫૫=૫૫ ના આંકડાએ પહોંચે છે. અલબત્ત, આપણી સંસ્થાને સંસ્થાકીય દાન તરીકે દાઉદી વ્હોરા વેલફેર ટ્રસ્ટ, મુંબઈ તરફથી હાયર સેકન્ડરી માટેના અલગ વિજ્ઞાન પ્રવાહ માટે રૂ|. ૨૭,૫૧,૦૦૦/- ની રકમ મળેલ છે. અહીં હું મારો પ્રતિભાવ આપવા માત્ર એટલા માટે આકર્ષાયો છું કે હું આપણી સંસ્થાને વ્યક્તિગત મળેલાં લઘુતમ અને મહત્તમ દાનોના આંકડાઓમાં “૫ (પાંચ)” નો આંકડો જે ઉભયમાં સામાન્ય રહ્યો છે તેની સુસંગતતા દર્શાવી શકું. આપની તંદુરસ્તી માટેની શુભ કામનાઓ સાથે હું વિનંતિ કરું છું કે આપણી ભવિષ્યની પેઢીઓ માટે ઉપકારક એવાં આપનાં વધુ ને વધુ Online પ્રકાશનો આપતા રહેશો.

આભાર.

અલીભાઈ પલાસરા (પ્રમુખ)

સર્વોદય કેળવણી મંડળ, કાણોદર”

Translated from English version (Preamble) titled as “Charity” followed with Pdf Attachment published on June 03, 2007.

 

Tags: , , , , , , , , , , , ,

(207) “રૂદન” – માનવજીવનની લાગણીઓની એક અજોડ અભિવ્યક્તિ!

Click here to read in English version with Images

આપણી પાસે કોઈ ઠોસ અને નિર્ણયાત્મક સાબિતી નથી કે જે થકી આપણે કહી શકીએ કે મનુષ્ય સિવાયનાં અન્ય પ્રાણીઓ પણ રૂદન કરતાં હશે! આ લેખ માનવીઓ ઉપર કેન્દ્રિત હોઈ આપણે પ્રાણીઓ સાથે કોઈ લેવાદેવા નથી. ટોમ લુત્ઝ (Tom Lutz) નામના જીવવિજ્ઞાની લાક્ષણિકતાઓને અનુલક્ષીને આંસુઓના ત્રણ પ્રકાર આપે છે. (1) મૂળભૂત (Basal) આંસુ (2) પ્રત્યાઘાતી (ઈજાના ફલસ્વરૂપ) આંસુ; અને, (3) લાગણીજન્ય (મનોવૈજ્ઞાનિક કારણથી નિપજતાં) આંસુ. પરંતુ, અહીં પણ મારો એવો કોઈ ઈરાદો નથી કે હું રૂદન કે આંસુ સારવાની પ્રક્રિયાનો કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ રજૂ કરું. હું હવે પછી અહીં ફક્ત લાગણીજન્ય આંસુઓ વિષેની જ ચર્ચા હાથ ધરીશ.

ચાર્લ્સ ડાર્વિને (Charles Darwin) કહ્યું છે કે ‘રૂદન એ મનુષ્યની વિશિષ્ટ પ્રકારની સાંવેગિક અભિવ્યક્તિ છે’. રૂદનને કોઈ ઉંમર, લિંગ કે સંસ્કૃતિના ભેદ નડતા નથી અને માનવજીવનમાં આ સંવેગ યુગો સુધી ચાલ્યા જ કરશે. રડનારને કોઈ બાહ્ય સત્તા કે શક્તિ તેને તેમ કરતાં અટકાવી શકે નહિ, જ્યાં સુધી કે વ્યક્તિ પોતે જ પોતાની મેળે અથવા પોતાની ઈચ્છાથી રડવાનું બંધ ન કરી દે! ઘણીવાર એમ પણ બનતું હોય છે કે રડનાર પોતે પણ પોતાના રૂદન ઉપર અંકુશ મૂકી ન શકે, જ્યાં સુધી તેની પ્રસન્નતા કે ગમગીનીનું મૂળભૂત જે કોઈ કારણ હોય તેની અસર સંપૂર્ણપણે તેના મનમાંથી સાવ ભૂંસાઈ ન જાય. Read the rest of this entry »

 

Tags: , , , , , , , ,